Thursday, August 13, 2009

મોજથી જીવે જાઓ – અવંતિકા ગુણવંત

આરતી અને પ્રિયાંકનો હાઇસ્કુલનો અભ્યાસ પૂરો થવા આવ્યો. વિશેષ અભ્યાસ માટે તેઓ હવે દૂર જશે. હવે આપણું ઘર સૂનું પડી જશે.’ રાતદિવસ વિશાખા આ એક જ વાત રટ્યા કરે છે.
’બધાં મા-બાપના જીવનમાં આવું બને છે. બધાંનાં સંતાનો દૂર દૂર જાય છે.’ અતુલ કહેતો.
‘પણ મારાથી એમને નજર આગળથી દૂર ના કઢાય. શું છોકરાંઓને આટલા માટે જન્મ આપીએ છીએ, આટલા માટે ઉછેરીને મોટાં કરીએ છીએ કે, તેઓ આપણને સૂનાં મૂકીને જતાં રહે. એ જશે પછી આપણાં જીવનમાં શું રહેશે?’ વિશાખાનો બળાપો શમતો નથી.

અતુલ સમજાવે છે, “સંસારનો આ જ ક્રમ છે. આપણા ઉજજ્વળ ભાવિની ખેવનામાં અહીં આવીને આપણે વસ્યાં ત્યારે આપણાં મા-બાપનો વિચાર કર્યો હતો ? બધાં મા-બાપનો આવો અનુભવ છે.”

‘આપણે આપણાં મા-બાપને ભૂલી નથી ગયાં કાયમ માટે. અહીં વસવાનો એમને આગ્રહ કરીએ છીએ. એ નથી આવતાં તો આપણે શું કરીએ ? તો ય તેઓ પાંચેક વાર અહીં આવી ગયાં, એક-બે વરસે આપણે એમને મળવા જઇએ છીએ. મહિને મહિને કોલ કરીએ છીએ. તેઓ દૂર વસે છે પણ હૃદયથી નજીક છે. જયારે આ આરતી ને પ્રિયાંક તો ઘર છોડવા થનગની રહ્યાં છે. કોણ જાણે આપણે એમને બાંધી રાખ્યાં હોય અને એમનો છૂટકારો થવાનો હોય એમ રોજ સ્વતંત્ર થવાની વાતો કરે છે, તેઓ કેવો રોમાંચ અનુભવે છે. જાણે કોઇ રાજપાટ મળી જવાનાં હોય.’

‘આ બધું સ્વાભાવિક છે, વિશાખા, સ્વતંત્ર જીવન કોણ ના ઝંખતું હોય ? તારે ખુશ થવાનું કે આપણાં સંતાનો પરિપક્વ થતાં જાય છે. સ્વતંત્ર રીતે જીવવા કાબેલ બન્યા છે. આપણે એમને સારા-ખોટાં નો વિવેક શીખવ્યો છે, ભારતીય્ સંસ્કારો સીંચવ્યાં છે તેથી કોઇ ફિકર નહી કરવાની.’ અતુલે કહ્યું.
‘છોકરાંઓ ખોટા માર્ગે જશે એનો મને ડર નથી, આજ સુધી એમણે આપણું સાંભળ્યુ છે ને ભવિષ્યમાં પણ સાંભળશે, આપણી સલાહ માનશે એની મને ખાતરી છે પણ ઘર છોડીને દૂર જવા તેઓ જે રીતે આતુર છે એ મને ખૂંચે છે. એક પળ માટેય તેઓ એવું નથી વિચારતાં કે મમ્મી-પપ્પા સૂનાં પડી જશે. આપણાં વગર મમ્મી-પપ્પા શું કરશે? એમનો સર્વાંગી વિકાસ થાય માટે, એમની પર સંપૂર્ણ ધ્યાન આપવા મેં બીજી સ્ત્રીઓની જેમ નોકરી નથી કરી. સતત એમની સાથે રહી છું, એમના વિકાસની નાનામાં નાની વિગત મારી ડાયરીમાં મેં નોંધી છે.’

‘અતુલ, તું તો તારી જોબ માં જ ડૂબેલો રહ્યો છે, એટલે તને ના લાગે પણ હું તો એમનામય થઇને જીવી છું. એમની જુદાઇના વિચારથી હું બેચેન થઇ જાઉં છું તો એમને કેમ કશું થતું નથી.’
‘બાળકો તો એમના વિચારોમાં જ મસ્ત હોય. એ દુ:ખી ના થાય એ જ વધારે સારુ છે, અને તું આટલાં વરસો એમની સાથે આનંદ-કિલ્લોલ કરીને મસ્તીથી જીવી માટે ઇશ્વરનો આભાર માન. હવે સંતાનોની પ્રગતિ દૂરથી જોવાની અને ખુશ થવાનું.’
‘ના, એવી રીતે હું ખુશ ના રહી શકું.’
‘તો શું સંતાનો તને બંધાયેલા રહે ? વિશાખા, એમાં તો એમનો વિકાસ રૂંધાઇ જાય. એ ઇચ્છનીય નથી, સંતાનોના હિતમાં નથી. એવી અવ્યવહારુ ઇચ્છાઓ રાખીને દુ:ખી ના થવાય. તું તટસ્થ રીતે બુધ્ધિથી વિચાર. હવે આપણા જીવનનો એક તબક્કો પૂરો થયો. આપણી ફરજ સરસ રીતે પૂરી થઇ. હવે ભવિષ્યમાં આપણે બે કેવી રીતે જીવીશું એનું આયોજન કરવાનું. સંતાનો આપણાં જીવનનાં કેન્દ્ર સ્થાનેથી દૂર જાય છે એટલે આપણા પ્રેમની સમાપ્તિ નથી થઇ જતી. આપણું જીવન પૂરું નથી થઇ જતું. હવે હું ને તું આપણી બાકી રહેલી ઇચ્છાઓ, શોખ, પ્રોજેક્ટો પૂરાં કરીશું અને તને સાચું કહું તો છોકરાંઓ દૂર રહીને વિકાસ સાધે એ જ ઉત્તમ છે. વેદકાળમાં આપણાં દેશમાં બાળક પાંચ વરસની ઉંમરે માબાપ અને ઘરેથી દૂર ગુરુને ત્યાં વિધા સંપાદન કરવા જતો હતો ને ! ત્યારે મા બાપ એકલાં નહીં પડી જતાં હોય ?’
‘અતુલ, તું તો ક્યાંનો ક્યાં સંદર્ભ આપીને મારી વાત ઉડાવી દે છે. તું કેટલો બદલાઇ ગયો છે, જાણે તારામાં લાગણી જ નથી રહી. તું પહેલાં આવો નહોતો.’
‘જો પ્રશ્ન લાગણીનો નથી. પ્રશ્ન આજની પરિસ્થિતિ નો છે.આજના સમયકાળનો છે. આપણે જો આધુનિક જિંદગી જીવવી હોય, સુખથી રહેવું હોય તો પ્રેક્ટીકલ થવું પડે, સમયની માંગ સમજવી પડે. વિશાખા, લાગણીઓમાં તણાઇને તું ભૂખીતરસી બેસી રહીશ તો આ દેશમાં કોઇ તને ખવડાવવા – પિવડાવવા નહી આવે. કોઇ તને પૂછશે નહી કે કેમ તું ઉદાસ છે ? આપણે જ આપણી જાતને સંભાળતાં શીખવું જોઇએ. પ્રસન્નતા જાળવતાં શીખવું જોઇએ. અહીં કોઇને કોઇનો વિચાર કરવાની ફુરસદ નથી, દરેક પોતપોતામાં મસ્ત રહે છે. આમાં લાગણીની ન્યુનતા કે ઓછપ નથી. અહીંની વિચારસરણી જ એ જાતની છે. આપણાં સંતાનો આ વાતાવરણમાં મોટાં થયાં છે. તેઓ આપણી પાછળ વ્યગ્ર નહીં થાય, વ્યથિત નહી થાય. અહીં આપણે અવારનવાર લોકોના મોઢે સાંભળીએ છીએ કે ‘એ તો એની સમસ્યા છે, આપણે શું?’ આ દેશમાં કોઇ કોઇની ચિંતા કરતું નથી. અહિંના જીવનની આ વાસ્તવિકતા છે, ગમે તેટલી કઠોર રહી પણ સ્વીકારવી રહી. આપણાં સંતાનો આપણી સાથે નથી રહેવાનાં, ધારે તોય ના રહી શકે એ આપણે પહેલેથી જ જાણતાં હતા પછી આ હાયવોય ને કલેશ શું કામ? છોકરાં મારાં જેવી લાગણી કેમ નથી અનુભવતાં એવી ફરિયાદ શું કામ?’

‘અતુલ, આપણું ઘડપણ કેવું વીતશે, આપણે શું કરીશું, તને કોઇ ચિંતા નથી ? આપણા કરતાં આપણાં માબાપ સુખી છે કે આપણે એમની ચિંતા કરીએ છીએ. આપણને એમની દરકાર છે તેની એમને ખાતરી છે. આપણે સતત એમના સંપર્કમાં રહીએ છીએ. આપણે જુદી જુદી રીતે લાગણી પ્રદર્શિત કરીને એમના જીવનને ભરી દેવા પ્રયત્ન કરીએ છીએ.’
‘તો આપણાં છોકરાંઓ ય મધર્સ ડે, ફાધર્સ ડે, થેંક્સગિવિંગ ડેના દિવસે કાર્ડ ભેંટ આપે છે. તેઓ નાના હતાં ત્યારે કેવા ભાવથી જાતે કાર્ડ બનાવતા હતાં. અત્યારે એમની પાસે વખત નથી એટલે કાર્ડ જાતે નથી બનાવતા પણ ખરીદીને આપવાનું ભૂલતાં નથી. કાર્ડની એમની પસંદગી, અંદરનું લખાણ કેટલું ભાવવાહી હોય છે. કાર્ડને ભેંટ મળે ત્યારે આપણે કેવાં ખુશ થઇ જઇએ છીએ. અને જો સાંભળ, આપણાં વગર આપણાં મા-બાપની રોજેરોજની જિંદગી સૂની પડી ગઇ હતી. ખાલી ઘર એમને ખાવા ધાતું હતું. છતાંયે તેમણે મનને મનાવી લીધું. તેઓ જીવે છે, આનંદથી જીવે છે, ફરિયાદ વગર જીવે છે. આપણે આપણાં મા-બાપની જેમ બદલાતી જતી જીવનરીતિને અનૂકુળ થઇને જીવવાનું. તું વિચાર, આપણાં આ નાનકડાં ટાઉનમાં મેડીકલ કોલેજ છે ? લો કોલેજ છે ? ફાર્મસી કોલેજ છે ? નથી. તો ભણવા તો દૂર જવું જ પડે ને ! પછી જોબ જ્યાં મળશે ત્યાં રહેશે. આ બધું આપણે જાણીએ છીએ. આ બધું સ્પષ્ટ છે, નિશ્ચિત છે તો એનાંથી તું ઉદ્વેગ કેમ પામે છે? તું મગજ શાંત રાખ અને જિંદગી જે રૂપ લે એ માણ. નવી સ્વતંત્ર જિંદગીનો સંતાનને ઉત્સાહ ઉત્સુકતા છે, તેનો તું પણ અનુભવ કર, તો તારી જિંદગીમાં કોઇ ઉણપ નહી વર્તાય. હવે પછી આપણી જિંદગી સમાંતરે જીવાશે, આપણી અને એમની વચ્ચે કોઇ દિવાલ નહી ચણાય. પ્રેમ છે અને રહેશે એની તું ખાતરી રાખ. હા, પ્રેમની ઉત્કટતા, તીવ્રતા ઓછી થઇ જશે પણ તેનું નામ તો જિંદગી છે.’

વિશાખા એકની એક વાત ઘુંટ્યા કરે છે પણ એ અકળાતો નથી, ગુસ્સે થતો નથી, બેદરકાર થતો નથી. એ પત્નીને બરાબર સમજે છે. અને પ્રેમથી સાંત્વન આપીને નોર્મલ રાખે છે. છતાં વિશાખા પણ વાતે વાતે બોલે છે, કોણે ખબર ઘડપણ કેવાં જશે? હા, ભુખ્યાં-તરસ્યાં નહીં રહીએ, પેટ ભરાશે પણ હૃદયમનનું શું? કોણ આપણી વાતો સાંભળશે ? માંદાં પડીશું તો જાતે નર્સિંગહોમમાં દાખલ થઇશું, શ્રેષ્ઠ દાકતરી સારવાર પણ મળશે પણ પ્રેમથી કોણ પંપાળશે, લાડ કરીને કોણ દવા પિવડાવશે ? અરે જાતે જ દવા લઇને સાજા થઇશું, એંશી વરસેય આપણે જોમ અનુભવીશું પણ એ જિંદગીમાં રસ હશે ? ઉત્સાહ હશે ? મોજ હશે ?

અતુલ કહે છે, ‘મનને તાજગી ભર્યુ અને યુવાન રાખવુ હોય તો સાહિત્ય અને કલામાં રસ લેવાનો, સમાજસેવા કરવાની. બાકી આ ક્ષણમાં જીવ. જે ભવિષ્ય દૂર છે એની ચિંતા અત્યારથી શું કામ? જીવન એની મેળે માર્ગ કરી લે છે. મન એની મેળે શોક, સંતાપ, ગૂંગળામનથી ઉપર ઉઠે છે. મન અંધારાનો જીવ નથી અને જીવન સમસ્યા નથી, જીવન તો અણમોલ લ્હાવો છે. મોજથી, મસ્તીથી માણો અને સહુને માણવા દો.’

અતુલની વાતોથી વિશાખાનું ચિત્તમન શાંત પડે છે. એનું મન સાંત્વના પામે છે.

No comments:

Post a Comment