Saturday, August 22, 2009

એ ઘડી વીતી ગઈ – અવંતિકા ગુણવંત

દેવશ્રી રુચિરને રોજ મળતી ને એક પત્ર આપતી. પાંચસાત લીટીમાં એ કાગળ પૂરો થઈ જતો. ક્યારેક તો એકાદ બે લીટીમાં જ – પણ એ થોડા જ શબ્દોમાં દેવશ્રી એનું હૈયું ઠાલવી દેતી. એ કાગળ વાંચીને રુચિરનો ચહેરો પુલકિત થઈ ઊઠતો. હસી ઊઠતો. દેવશ્રી અધીરી થઈ ઊઠતી કે રુચિર હવે કંઈક બોલશે, પણ રુચિર કંઈક બોલતો નહીં. દેવશ્રીના મનમાં પ્રશ્ન અટવાયા કરતો કે ‘રુચિર મને કહે, તું કેમ આટલો ખુશ થઈ ગયો ? મારા કાગળથી તારા હૈયામાં કેવી લાગણીઓ ઊઠે છે ?’ પણ દેવશ્રી મનમાં ઊઠતો એ પ્રશ્ન હોઠ બહાર કાઢી શકતી નહિ. વાતાવરણ જીવંત રાખવા એ એક હજાર ને એક નિરર્થક સવાલો પૂછતી ને રુચિર એ પ્રશ્નોના જવાબ આપતો. પણ દેવશ્રીના હૃદયને બેચેન કરી મૂકતો પેલો સવાલ તો બાકી જ રહી જતો.

રુચિર દેવશ્રી સાથે દુનિયાભરની વાતો કરતો. નાનપણનાં તોફાનની, મિત્રો સાથે હતુતુ અને નાગોળચું રમતાં કેટલી વાર પડ્યો હતો ને હાથપગ છોલાયા હતા. સંતાકૂકડી રમતાં ભોંયરામાં જતાં એ કેવો ડરતો હતો ને ખો રમે ત્યારે દાવ આવે તો એ કેવો ગભરાઈ ઊઠતો, લખોટી રમવાની કુનેહ કુશલતા કદી સધાઈ નહિ ને કાયમ હારી જતો, બધી લખોટીઓ ગુમાવવાથી સર્વસ્વ ગુમાવ્યું હોય એમ એ હક્કાબક્કા થઈ જતો. આમ બાળપણની વાતો એ સંપૂર્ણ વિગતે દેવશ્રીને કરતો, ત્યારે દેવશ્રી એકીટશે એના મોં-આંખો સામે જોતી. રુચિરની આંખોમાં બાળકોની દુનિયા દેખાતી પણ દેવશ્રીને એના સવાલનો જવાબ ના મળતો.

ચિરપુરાતન આ એક સવાલ સદીઓથી એક પ્રેમીએ બીજા પ્રેમીને પૂછ્યો છે, ‘તમને મારી જરૂર છે ને ! તું મારા વગર જીવી નહિ શકે ને ! મારા વગર તારી જિંદગી અધૂરી રહી જશે ને ! બોલ એક વાર બોલ, મને એક વાર કહે તને આખી દુનિયા વગર ચાલશે પણ મારા વગર નહિ ચાલે !’ દેવશ્રીના હૃદયમાં આ સવાલ આંધીની જેમ ઊઠતો અને એના સમગ્ર અસ્તિત્વનો ભરડો લઈ લેતો. રુચિરને હચમચાવીને આ પૂછવા ઉત્સુક થઈ ઊઠતી કે, ‘બોલ રુચિર બોલ. આ ક્ષણે, આ પળે જ મને જવાબ આપ. આ ક્ષણ વીતી જાય પછી કોને ખબર શું થાય ?’ પણ દેવશ્રી પૂછી શકતી નહિ. એ અત્યંત સ્વમાની હતી. એનામાં એ આભિજાત્ય અને લજ્જાનું એવું આવરણ હતું કે એ હટાવીને રાતદિવસ એને સતાવતો પ્રશ્ન એ ખુલ્લંખુલ્લા પૂછી શકતી નહિ. રુચિર એને કેટલીય સાહિત્યકૃતિઓ અને કલાકૃતિઓની વાત કરતો. દેવશ્રી એને ચૂપચાપ સાંભળ્યા કરતી. એની આંખો રુચિરના ચહેરા પર સ્થિર થતી. પોતાની આંખો દ્વારા જાણે એ કહેવા માગતી હતી, રુચિર એક પુસ્તક તારી સામે પડ્યું છે, એ જીવંત છે, ખુલ્લું છે, એનાં પાનાં હવામાં ઊડે છે, તું હાથ લંબાવ, તારા હાથમાં આ પુસ્તક લે, એ વાંચ, એમાં તારા હસ્તાક્ષર કર. પણ રુચિર દેવશ્રીની આંખની ભાષા સમજી શકતો નથી. અને દેવશ્રી સીધેસીધું, મોંથી પૂછવામાં માનતી નથી. કહેવું ગમતું નથી.

છતાં એક વાર એ એક સુગંધીદાર ગુલાબી કાગળ પર લીલા રંગની શાહીથી લખે છે, ‘રુચિર, તારી આંખમાં એક ચમક છે. એનું ઉદ્દભવસ્થાન ક્યાં છે ?’ રુચિર આ વાંચીને હસે છે પણ દેવશ્રી જે શબ્દો સાંભળવા આતુર છે એ બોલતો નથી. એક દિવસ દેવશ્રી એને યલો રંગનું કાર્ડ આપે છે. એમાં લખ્યું છે, ‘તારી પ્રસન્નતાથી મને સંગીત કેમ સંભળાય છે ?’ રુચિરે આ વાંચ્યું ને હસ્યો પણ એ હસવામાં દેવશ્રી કોઈ અર્થ ના તારવી શકી. એક રમ્ય સાંજે નજીક બેઠેલા રુચિરને દેવશ્રીએ પૂછ્યું, ‘રુચિર, મને લાગ્યું કે હું નજીક બેઠી ત્યારે મારા સ્પર્શથી તારામાં કોઈ ઝણઝણાટી થઈ હતી. બોલ એ સાચું કે ભ્રમ ?!’ દેવશ્રી આ પ્રશ્ન પૂછીને ક્યાંય સુધી રુચિર સામે તાકી રહી પણ રુચિરમાં ભાવની કોઈ ઉત્કટતા ના આવી, એના મોંમાંથી કોઈ શબ્દો ના નીકળ્યા. એણે હાથ લંબાવીને દેવશ્રીના હાથ પકડીને પ્રેમનો કોઈ એકરાર ના કર્યો. લગ્નનો પ્રસ્તાવ ના મૂક્યો.

સમય વીતતો જાય છે. સોનાનાં ઘડી પળ કાળનાં ગર્ભમાં ઓગળતાં જાય છે. પૂર્ણ યૌવનના ઉંબરે આવીને બેઉ ઊભાં. હવે તો કોઈ નિર્ણય લેવો આવશ્યક છે. દેવશ્રીના ઘરમાં વિવાહની વાત ચર્ચાવા લાગી. દેવશ્રીને પોતાની વાત કહેવી છે, પણ કઈ રીતે કહે ? એના અને રુચિર વચ્ચે કોઈ સ્પષ્ટતા નથી થઈ. મા-બાપને એ શું કહે ? દેવશ્રી અત્યંત સંવેદનશીલ, ઋજુ અને નાજુક હૃદયની હતી. એની અપેક્ષાઓ, અરમાનો ઘણા ઊંચાં હતાં. એ ઈચ્છતી હતી જે રીતે કળી સ્વયં પુષ્પરૂપે ખીલે છે, એ જ રીતે રુચિરના હૃદયમાં દેવશ્રી માટે પોકાર પડવો જોઈએ. એના અસ્તિત્વનું રૂંવેરૂંવું દેવશ્રી દેવશ્રી પોકારી ઊઠે અને એ દેવશ્રી પાસે દોડી આવે ને કહે, ‘ચાલ દેવશ્રી અત્યારે, હાલ આ જ પળે આપણે એક થઈ જઈએ…’ પણ દેવશ્રીના હૈયાનું ગાન જ જાણે રુચિરને સંભળાયું નહિ, અથવા તો સંભળાયું પણ કોઈ પ્રતિધ્વનિ ઊઠ્યો નહિ. પ્રેમનો પ્રબળ સાદ ઊઠ્યો જ નહિ.

હવે ? હવે શું થાય. દેવશ્રી તો પ્રતીક્ષામાં બેઠી હતી, પણ એનાં મા-બાપ તો વ્યાવહારીક સંસારમાં વસનારાં હતાં. એ ક્યાં સુધી રાહ જુએ ? એમને તો દીકરીની વાત સમજાતી જ ન હતી. એ તાડૂકે છે, ‘આવો તો કેવો તારો પ્રેમ ? છોકરો કેમ કંઈ બોલતો નથી ? તું સીધેસીધું જ પૂછી જો. લગ્નની માગણી કર.’ આ સાંભળીને એનો ભાઈ જતીન બોલ્યો, ‘ના, ના, બહેન. તું માંગણ નથી. પ્રેમની ભીખ શું માગવાની ? માંગ્યો મળે તો એ પ્રેમ જ ના કહેવાય. એણે પ્રેમ ઓળખવો જોઈએ. તારા વગર કહે એણે જ પ્રેમનો પ્રસ્તાવ મૂકવો જોઈએ. છોકરો જ માગણી કરે…’ દેવશ્રી મા-બાપ અને ભાઈની વાત સાંભળે છે, પણ કંઈ બોલતી નથી. ભાભી એની સખી જેવી હતી એ હેતથી પૂછે છે, ‘તમારી વચ્ચે ખરેખર પ્રેમ છે કે પછી ભ્રમણા જ છે ? તમારી કહાનીનો આરંભ ક્યારે થયો, ક્યાં થયો, વાત તો કરો !’ પણ દેવશ્રી શું વાત કરે ? એના હૈયામાં તુમુલ મંથન ચાલી રહ્યું છે, શું કરું, હું શું કરું ? રાતોની રાતો એ જાગતી બેસી રહે છે. હાથમાં પેન લે છે પણ રુચિરને કાગળ લખી શકતી નથી. થાય છે, શબ્દો તો બધા નિરર્થક નીવડ્યા. અંતરમાં રુચિર રુચિર નામ પડઘાય છે ને રુદનના ઓઘ ઊમટે છે. હાથમાંથી પેન સરી પડે છે.

દેવશ્રીની બહેનપણી રાજુલાએ દેવશ્રીની સ્થિતિ જાણી ને એ રુચિર પાસે દોડી. કંઈ પણ પ્રસ્તાવના કર્યા વિના ગોળી છોડતી હોય એમ એ બોલી, ‘રુચિર, નિર્ણય કર.’
‘નિર્ણય, શાનો નિર્ણય ?’ રુચિર ફફડી ઊઠ્યો.
‘સેંકડો વખત તું અને દેવશ્રી મળ્યાં છો. કલાકો વાતો કરી છે. શું કામ, શું કામ ? એને આવી રીતે અધવચ્ચે છોડી દેવા ?’
‘તો હું શું કરું ?’ રુચિરે બાઘાની જેમ પૂછ્યું. આ સાંભળ્યું ને રાજુલાનું મગજ તપી ગયું, ‘ઓ ભગવાન, આ માણસને શું કહેવું ? રાજકુંવર જેવા બત્રીસલક્ષણા કંઈ કેટલાય છોકરાઓ પ્રાણ પાથરતા હતા એ બધાને મૂકીને દેવશ્રીએ આવા ઊણા, અધૂરા, ઓછા છોકરાની સાથે કેમ હૃદય જોડ્યું ? આમાં શું જોઈને વારી ગઈ ? આ એના નસીબની કરુણતા જ ને ! કમનસીબી.’ પોતાના ગુસ્સા પર માંડ માંડ કાબૂ રાખીને રાજુલાએ કઠોરતાથી પૂછ્યું :
‘રુચિર, દેવશ્રી તને રોજ કાગળ લખતી હતી કેમ ? બીજા કોઈને નહિ ને તને રોજ મળતી હતી, તને જોઈને નાચી ઊઠતી હતી કારણ કે એને તારા માટે પ્રેમ હતો. એટલું તો તેને સમજાય છે ને ?’
‘હા’ રુચિર શાંતિથી બોલ્યો.
‘તો આવા ઉત્કટ પ્રેમની પરિણીતિ શું હોય ? લગ્ન. તું દેવશ્રીને ચાહતો નથી ? એની સાથે લગ્ન કરવાની ઈચ્છા તને નથી ?’ રાજુલાએ ચોખવટથી પૂછ્યું.
‘દેવશ્રી લગ્ન કરવા ઈચ્છે છે ?’ સામાન્ય સવાલ પૂછતો હોય એમ રુચિરે પૂછ્યું. રાજુલા ગુસ્સાથી બોલી, ‘કોઈ અબુધ, અબુઝ માનવી પણ આ સમજી શકે, રુચિર પ્રેમ કંઈ વિચારવાની કે સમજવાની જ વાત નથી. એ તો અનુભવવાની વાત છે, ફીલ કરવાની વાત છે. તારું હૈયું શું ઈચ્છે છે ? તું લગ્ન નથી ઈચ્છતો ? પ્રેમીઓની ઈચ્છા શું હોય ચિરમિલન. લગ્ન.’
‘જો દેવશ્રીની ઈચ્છા હશે, માગણી હશે તો હું લગ્ન કરીશ.’ ઠંડા અવાજે રુચિરે પૂછ્યું.

રાજુલાના મોંએ દેવશ્રીએ સાંભળ્યું કે રુચિરે કહ્યું છે, ‘જો દેવશ્રીની ઈચ્છા હશે તો હું લગ્ન કરીશ.’ ને દેવશ્રીએ માથું કૂટ્યું, ‘ઓરે મને તો મારા પ્રેમમાં પારાવાર શ્રદ્ધા હતી. મને ભરોસો હતો કે રુચિર વગર કહે સમજશે. મને તો એ ઘડીની ઝંખના હતી કે રુચિર પ્રેમમાં પાગલ બનીને દોડી આવશે, કહેશે ચાલ દેવશ્રી, આપણે લગ્ન કરી લઈએ.’ પણ રુચિર તો મારા જેવી પ્રેમની ઉત્કટતા ને તીવ્રતા અનુભવતો જ નથી. એ તો મારા ખાતર, મારી જો ઈચ્છા હોય તો દયા કરતો હોય એમ મારી સાથે લગ્ન કરશે. દેવશ્રીનો અહંકાર ઘવાયો. એ બોલી ઊઠી, ‘રહેવા દો નથી કરવાં મારે લગ્ન’ એનું મન મરી ગયું.

દેવશ્રીએ ઘરમાં કહી દીધું પોતે લગ્ન નહિ કરે. એના ઈન્કારમાં એટલી મક્કમતા હતી કે એના લગ્નની વાત પર પડદો પડ્યો. પાંચ-છ મહિના પસાર થયા ને રુચિર દેવશ્રીના દ્વારે આવ્યો,
‘દેવશ્રી, ચાલ લગ્ન કરી લઈએ.’
‘રુચિર, એ ઘડી પળ તો ક્યારનાં વીતી ગયાં.’ નિસાસો નાંખતા દેવશ્રીએ કહ્યું.
‘તો શું હવે તું મને પ્રેમ નથી કરતી ? તારો પ્રેમ મરી ગયો ? તારો પ્રેમ એવો ઝાકળબિંદુ જેવો હતો ?’
‘તને શું જવાબ આપું ? રુચિર, પ્રેમ કદી મરતો નથી. હું રુચિરને જ પ્રેમ કરું છું. સ્વપ્નમાં કે જાગ્રત અવસ્થામાં રુચિર જ મારી સાથે હોય છે. એના વિના બીજા કોઈ પુરુષનો સાથ મને ખપે નહિ.’
‘તો પછી લગ્નની ના કેમ કહે છે ?’
‘રુચિર, મારો રુચિર આ મારી નજર આગળ ઊભો છે એ દેહધારી રુચિર નથી. મારો રુચિર તો મારા મનનો મોરલો છે. જે આ સ્થૂળ આંખે દેખાય નહિ, હાથથી અડકાય નહિ. એ તો મારા હૃદયમનનો સાથીદાર છે. મારી સાથે એકાકાર થઈ ગયો છે.’

રુચિર જોઈ રહ્યો. આ વિચિત્ર છોકરીને શું કહેવું ? એ મારી પાછળ પાગલ હતી, તેથી તો બીજા કોઈની સાથે લગ્ન કર્યા નથી. હું સામેથી લગ્નનું કહું છું તો ના પાડે છે. એનાં મા-બાપને વાંધો નથી. ક્યાંય અંતરાય નથી. અવરોધ નથી છતાં મારો પ્રસ્તાવ સ્વીકારતી નથી. એ આજીજીભર્યા સૂરે બોલ્યો : ‘દેવશ્રી, તારા વગર હું નહિ રહી શકું’
‘પણ તારા વગર રહેવાનો મેં નિર્ણય લઈ લીધો છે. હવે ભૂતકાળની યાદ ના દેવડાવ, એ સ્થૂળ સહવાસ તો ભુલાઈ ગયો.’ દેવશ્રી બોલી.
‘જો ભૂતકાળ યાદ ના કરવો હોય તો તેં અપરિણીત રહેવાનો નિર્ધાર કર્યો હતો એ ઘડીય વીતી ગઈ છે. એ ભૂતકાળની વાત થઈ. તો એ નિર્ણયને શું કામ વળગી રહે છે. દરેક ક્ષણના નવા નિર્ણય હોય. દેવશ્રી, આ ઘડીએ નવો નિર્ણય લે. એક થવાનો સંકલ્પ કર.’ આર્તભર્યા કંઠે રુચિર બોલ્યો.
‘રુચિર, ભૂતકાળ વીતી જાય છે પણ એની અસર રહી જાય છે. એના પાયા પર જ વર્તમાન રચાય છે. રુચિર, વિચાર કર, આપણે બે આટલાં પાસે હોવાં છતાં પહેલાંની જેમ કેમ નજીક બેસીને હાથમાં હાથ પકડીને વાત નથી કરતાં ? એનું કારણ શું ? વચ્ચે જે ઘટના ઘટી એની અસર વર્તમાન પર છે જ.’
આ સાંભળીને રુચિર અકળાઈને બોલ્યો : ‘આ તો જડતા કહેવાય. દેવશ્રી, તું હાથે કરીને તારા હૃદયનાં બારણાં ભીડી દે છે. સુખ ઉંબરે આવ્યું છે ને તું અંદર નથી પ્રવેશવા દેતી. તારી બુદ્ધિ બહેર મારી ગઈ છે. ભૂલી જા એ તારા ગાંડા નિર્ણયને.’
‘રુચિર, મારા હૃદય પર બુદ્ધિની ગણતરી કે તોલમાપ લાગુ નથી પડતાં. એના રાહ જુદા છે. એ એની રીતે જ વર્તે છે. તારી સાથેના લગ્નની ઈચ્છા મેં ત્યજી દીધી. હવે એ વાત સમાપ્ત થઈ ગઈ. હવે ફરી ત્યાં અંકુર ફૂટે જ નહિ. હવે લગ્નની વાત જ નહિ. તારી સાથેય નહિ કે બીજા કોઈની સાથેય નહિ. રુચિર, મારા જીવનમાં લગ્ન નથી, એ વાત મેં સ્વીકારી લીધી છે.’

રુચિરે નિસાસો નાખ્યો, ‘ઓ રે, આ દેવશ્રીના દિલને કોણ મનાવે ? એની પર કોની સત્તા ચાલે ? એને એકલતાનો ડર નથી, ભવિષ્યનો ભય નથી. એ ગભરુ કે નિર્બળ નથી. એનું તેજ જરાય ઝાંખું નથી પડ્યું. એવી જ મસ્તી એના વ્યક્તિત્વમાંથી છલકાય છે, માત્ર મારી સાથેના લગ્નની બાદબાકી થઈ ગઈ. હવે ત્યાં કોઈ સરવાળો ના થાય. મારે જવું જ રહ્યું.’ લાચાર બનીને આશાહીન રુચિર લથડતા પગે દીન મુખમુદ્રા સાથે પાછો વળી ગયો.

Thursday, August 13, 2009

એકલતાનું ખમીર – અવંતિકા ગુણવંત

‘એટલે શું અમારે અમારાં સુખસગવડનું બલિદાન આપવાનું ? અમારી ઊંચા પગારની નોકરીને લાત મારવાની ? પપ્પા, આવી મૂર્ખામી કરવાની સલાહ તો કોઈ દુશ્મનેય ના આપે.’ કિન્નરે સાવ લાગણીહીન સ્વરમાં દિનેશભાઈને કહ્યું. દિનેશભાઈ તો આભા બનીને સાંભળી જ રહ્યા. ચંદ્રિકાબહેનને અકસ્માત થયો હતો, હાથે પગે અને પાંસળીઓમાં ફ્રેકચર થયાં હતાં, નાનાંમોટાં કંઈ કેટલાંય ઑપરેશન કરાવવાં પડશે. ચંદ્રિકાબહેન બચી ગયાં એ જ ઈશ્વરની મહેરબાની એવી પરિસ્થિતિ હતી. પણ દવાખાનામાં કેટલો વખત રહેવું પડશે એ નક્કી ન હતું.

ત્રણે દીકરાઓ કિન્નર, અક્ષય અને અશોક પરદેશ સ્થાયી થયા હતા. દિનેશભાઈએ ગભરાઈને કોલ કર્યો ને ત્રણે દીકરાઓ હાજર થઈ ગયા હતા. પણ ત્રણે એકલા જ આવ્યા હતા. કોઈ પોતાની પત્નીને સાથે લાવ્યું ન હતું. ત્રણેની પત્ની જોબ કરતી હતી. આવવાની અનુકુળતા ન હતી.

દિનેશભાઈને મનમાં હતું, ત્રણ ત્રણ દીકરાઓ અને એમની વહુઓ છે. મારે તો કોઈ ચિંતા નહિ રહે. હૉસ્પિટલમાં રહેવું, આંટાફેરા, ડૉકટરને મળવું, દવા લાવવી બધું છોકરાઓ ઉપાડી લેશે. પણ દીકરાઓ તો માત્ર મોં બતાવવા આવ્યા હતા. હાજરી પુરાવવા આવ્યા હતા. એમણે તો આવ્યા એ ઘડીએથી જ જવાની વાત ઉચ્ચારી. માની પાસે બેસવાની કોઈને પડી ન હતી. માની ચાકરીની ચિંતા ન હતી.

દિનેશભાઈએ કહ્યું, ‘તમે ત્રણે એક સાથે અહીં રહો એવું નથી કહેતો પણ વારાફરતી એક એક જણ રહો. તમારી મમ્મીની પથારી લાંબી ચાલશે માટે આપણે બધુ ગોઠવવું તો પડશે.’

‘પપ્પા, તમે તો અમારા પપ્પા છો કે વેરી ? કેવી નાદાન જેવી વાત કરો છો ? તમે અમારું હિત તો વિચારતા નથી.’ અક્ષય બોલ્યો.

‘બેટાઓ આજ સુધી તમારું જ હિત જોયું છે, તમને ભણાવ્યા, ગણાવ્યા….’ દિનેશભાઈએ લાચાર સૂરમાં કહ્યું.

‘પપ્પા, ભણાવ્યા ગણાવ્યા એમાં તમે નવાઈ નથી કરી. બધાં માબાપ પોતાના સંતાનોને ભણાવે જ છે. છતાં તમે એની કિંમત ઈચ્છતા હો તો બોલો કિંમત આપી દઈએ.’ ત્રીજો દીકરો અશોક બોલ્યો.

દીકરાઓના મોં એ આવી વાત સાંભળીને દિનેશભાઈનું ચેતન જ હણાઈ ગયું. ઓરે, આવી ખબર હોત તો દીકરાઓને ખબર આપીને બોલાવત જ નહીં. તેઓ રડી પડયા. બોલ્યા, ‘દીકરાઓ, તમારી મમ્મી તરફ તમારી કોઈ ફરજ નહીં ?’

‘ફરજની કોણ ના પાડે છે ? એટલે તો કહીએ છીએ પૈસા બોલો. અમે ભાગે પડતા આપી દઈએ. બાકી અમારી જિંદગીને પૂર્ણવિરામ મૂકીને અહીં રોકાઈ ન શકીએ. કોઈ માબાપ પોતાના સંતાનો પાસેથી આવો ભોગ ન માગે. પપ્પા, મમ્મીની સારવાર તમે તમારી રીતે કરો ને પૈસાની ચિંતા ન કરશો. તમે નિવૃત છો. તમે સમય આપી શકો.’

દિનેશભાઈ સમસમી ગયા. ભરપૂર પ્રેમ આપીને જે દીકરાઓને ઉછેર્યા હતા એમણે આવો પડઘો પાડયો ?

આજ સુધી અમે આવી ભ્રમણામાં જીવ્યાં ? મારો પગાર ટૂંકો હતો પણ છોકરાઓ પાછળ ખરચ કરવા જેવો હોય ત્યાં કર્યો જ હતો. અમારા મોજ શોખ બધા વિસારે પાડયા હતા. બાર બાર મહિના થઈ જાય તોય ચંદ્રિકા એના માટે એક સાડલો લેતી નહીં, આખા જીવન દરમ્યાન એક ઘરેણું મેં એને કરાવી આપ્યું નથી, ગાંધીજીના જેવી સાદાઈથી અમે જીવ્યા માત્ર છોકરાઓ ના વિકાસ ખાતર ! છોકરાઓ પાસેથી અમે આજ પહેલાં કશું માગ્યું નથી.

ચંદ્રિકાને આવો અકસ્માત ન થયો હોત તો છોકરાઓને અંહી રોકાઈ જાઓ એમ કહેત જ નહીં. આટલાં વરસો થઈ ગયાં, છોકરાઓ જયારે આવ્યા ત્યારે આવો કહ્યું છે, ગયા ત્યારે આવજો કહ્યું છે. કોઈ દિવસ અમારી ઈચ્છા પ્રગટ કરી કોઈ સૂચન નથી કર્યું. આગ્રહ નથી કર્યો. એમની આડે કયાંય આવ્યા નથી. કદી અધિકાર નથી કર્યો.

છોકરાઓને આ બધું કેમ નથી સમજાતું ? અમે બીજાં સામાન્ય માબાપ જેવા સ્વાર્થી નથી, ગણતરી બાજ નથી, છોકરાઓ પર આધિપત્ય જમાવવા નથી માગતાં. અમારી કોઈ જવાબદારી એમના પર નાખવા પ્રયત્ન નથી કર્યો. અમારી હોંશ, લાલસા, તૃષ્ણા પર અંકુશ રાખ્યો છે.

પણ સંજોગો એવા આવ્યા કે મારે એમને સહાય માટે કહેવું પડયું અને તેઓ ત્રણ જણ છે, થોડો થોડો સમય વહેંચી કાઢવાની યોજના કરે તો ! આટલો ભોગ આપવાય દીકરાઓ તૈયાર નથી. આટલોય મા માટે પ્રેમ નથી ? એ ન રહી શકે તો એમની પત્ની વારાફરતી રહે.

ચંદ્રિકાએ છોકરાઓને પોતાનાથી જરાય અલગ નથી કર્યા. એમની નાનામાં નાની માંગણીને સંતોષી છે. નાની ખુશી માટેય કેટલી મહેનત કરી છે.

છોકરાઓ પહેલે નંબરે પાસ થતા તો અમે કેટલું હરખાતાં. એ નાટકમાં ઊતરતા ને સ્ટેજ ગજાવતા તો અમારી છાતી ગજ ગજ ફૂલતી. રમતગમતમાં ઈનામો જીતતા તો અમે ફૂલ્યાં ન સમાતાં.

દીકરાઓ માટે અમે કેટલું ગૌરવ લેતાં હતાં. દીકરાઓ અમારા પ્રાણ હતા. આવા તેજસ્વી દીકરાઓ આપવા માટે અમે પ્રભુનો કેટલો આભાર માનતાં હતાં. એ દીકરાઓને આજે અમારી ચિંતા નથી. જરાય ચિંતા નથી.

એમની વહાલસોઈ મા પથારીમાં પડી છે. આટલી વેદના, આટલી પીડા, આટલું કષ્ટ પામી રહી છે ત્યારે એને એકલી મૂકીને પૈસા ગણવા જઈ રહ્યા છે.

દીકરાઓ તો કાલે પરણ્યા એ એમનો સંસાર થયો પણ એ પહેલાં એમના નાનપણના ખેલકૂદના દિવસમાં, અભ્યાસકાળમાં કોનો સાથ એમને હતો ? પરીક્ષા હોય ત્યારે રાતોની રાતો એમની સાથે જાગતું કોણ બેસી રહેતું ? એ ચિત્રો કરતા ત્યારે એમના રંગ પૂરતા જોવા ને દીકરા આ બરાબર નથી જામતું, હા હવે વંડરફૂલ લાગે છે એમ કહી કહીને એમનો પાનો કોણ ચડાવતું હતું ? એમની સાથે કવિતાઓ ને શ્લોકો ગોખવા કોણ બેસતું ? દીકરાઓને પળેપળનો સાથે જે માબાપે આપ્યો છે, એ માબાપ સાથે માત્ર પૈસાનો સંબંધ ? કિંમત ચૂકવવાની વાત ? જે માબાપ વડીલ તરીકે નહિ પણ મિત્ર તરીકે વર્ત્યાં એ માબાપ આજે પારકા થઈ ગયા ? માબાપની જરૂર નથી એટલે ? દીકરાઓના હ્રદય આવાં લાગણીશૂન્ય કેમ ?

અક્ષય ઓસ્ટ્રેલિયા વસ્યો, કિન્નર સિંગાપોર ને અશોક અમેરિકા જઈ વસ્યો. દેશમાં અમે બે જણ એકલાં રહ્યાં તો ય કદી ફરિયાદ નથી કરી. એમના આનંદના સમાચાર જાણીને અમે ખુશ થતાં હતાં.

પણ આજે ચંદ્રિકા પથારીમાં ને હું એકલો પડી ગયો છું. ત્યારે દીકરાઓ અમારો ટેકો બનવાને બદલે કેટલી આસાનીથી ખસી જાય છે. હું ઘરડો છું, દોડાદોડ થતી નથી. છતે દીકરે પારકાના ઓશિયાળા.

આવા વિચારો કરી કરીને દિનેશભાઈ કકળવા માંડયા. લાંબા દીર્ઘજીવનમાં દિનેશભાઈ અને ચંદ્રિકાબહેન વચ્ચે એટલું ઐક્ય સધાયું હતું કે મનમાં ઊઠતી વાત એકે એક તરંગ, કલ્પના, ચિંતા એકબીજાને કહેતાં જયારે આજે તો ચંદ્રિકાબહેન પથારીમાં છે. એમને આવી આઘાતજનક વાત કહેવાય નહીં. દિનેશભાઈના હૈયામાં આ વાત ઘૂંટાતી રહી, હૈયાને વલોવતી રહી, વહેરતી રહી.

ચાર દિવસમાં દીકરાઓ પોતપોતાના સ્થાને પહોંચી ગયા. એ પછી આઠ દિવસે દિનેશભાઈને હાર્ટએટેક આવ્યો ને મૃત્યુ પામ્યા. સમાચાર સાંભળીને ત્રણે દિકરાઓ વહુઓ સાથે દોડાદોડ આવી પહોંચ્યા. દીકરાઓ સફેદ ઝભ્ભો ને સફેદ લેંઘા, વહુઓ સફેદ કપડાં પહેરી ગંભીર મોં લઈને બેઠાં છે. નથી બોલતા નથી ચાલતા. બોલે છે તોય ખૂબ ધીમા સ્વરે, ખપપુરતું ના છૂટકે. જાણે કે પિતાના મૃત્યુના શોકમાં દટાઈ ગયાં છે.

પણ ખરેખર શું એમને બાપ ગયાનું દુ:ખ હતું ? ના. આ તો એક દેખાવ હતો. સમાજને બતાવવાનું નાટક હતું. સમાજને પ્રભાવિત કરીને સર્ટિફિકેટ લેવાનું.

દસ દિવસ થયા એટલે દીકરાઓ જવા તૈયાર થયા. ત્રણેએ માને કહ્યું, ‘હિંમત રાખજે. તારી તબિયત સાચવજે. અમે અવારનવાર કોલ કરતા રહીશું.’

ચંદ્રિકાબહેને માથું ધુણાવીને હા કહી. એમને દીકરાઓ પરથી સાવ મન ઊઠી ગયું હતું. આવા નગુણા દીકરાઓનો એમને જરાય મોહ નહોતો રહ્યો. તેઓ જાય એનો અફસોસ ન હતો. તેઓ દીકરાને એમનો આધાર નહોતા માનતા.

એમનું મન મક્કમ થઈ ગયું હતું. સ્વાભાવિક નિર્બળતા, દૂર્બળતા અદ્રશ્ય થઈ ગઈ હતી. એમણે નક્કી કર્યું હું જીવીશ, શાનથી જીવીશ. આ ઘર વેચીને નાનકડી જગ્યામાં રહેવા જઈશ પણ પૈસા ખરચીને મારી બરાબર દવા કરાવીશ. બાઈ રાખીને રસોડું ઘર એને સોંપી દઈશ પણ ઑપરેશન કરાવીને ફરી એકવાર ચાલતી થઈશ.

દીકરાઓ પણ જાણશે કે હું એમની પર આધારિત નથી. એમની તરફ મેં મારી ફરજ બજાવી દીધી. હવે એ જંજાળ દૂર થઈ છે. તો દૂર જ રહેવા દઈશ. હવે મારું નવું જીવન શરૂ થશે. હું મારું જીવન કે મોત બગાડીશ નહિ. આવા આવા વિચારથી ચંદ્રિકાબહેનમાં હિંમત આવી ને મનની શરીર પર અસર થઈ.

એમની તબિયત ઝડપથી સુધરવા લાગી. ફરી એકવાર એ ચાલતા થઈ ગયા. દીકરાઓ ન આવ્યા પણ દીકરાઓથીય અધિક સંભાળ લેનાર સ્નેહીજનોની ખોટ ન હતી. મિત્રોની ખોટ ન હતી. એમણે ચંદ્રિકાબહેનને હૈયાના હેતથી સાચવ્યાં.

પ્રેમનો આદર્શ – અવંતિકા ગુણવંત

જાનકી ગ્રેજ્યુએટ થઈ ગઈ, એટલે રૂપાબેન તથા અક્ષયભાઈ કહે, ‘બેટા, તું ઈન્ડિયા જા, ત્યાં મોટા કાકાએ બે-ત્રણ છોકરા જોઈ રાખ્યા છે. તું તારી રીતે જો, પસંદ કર, પછી લગ્ન કરાવવા અમે આવી જઈશું.’
જાનકી બોલી, ‘પણ એમ કઈ રીતે છોકરો પસંદ થાય ? એકાદ-બે વાર કોઈને જોઈએ એટલે એની બુદ્ધિનો ખ્યાલ આવે, સ્વભાવનો ખ્યાલ આવે પણ લગ્નનું નક્કી કરવા માટે તો પ્રેમ હોવો જોઈએ. પ્રેમ થયા વગર લગ્નનું શી રીતે વિચારાય ?’ જાનકીના અવાજમાં મૂંઝવણ હતી.

આ પહેલાં જાનકી એનાં મમ્મી-પપ્પાના મોંએ કેટલીય વાર સાંભળી ચૂકી હતી કે જાનકીનાં લગ્ન તો ભારતમાં કરીશું, ભારતમાં જન્મેલા અને ભારતમાં ભણીગણીને તૈયાર થયેલા યુવક સાથે.
આવું વિચારીને એમણે જાનકીને ડેટિંગ પર કોઈ દિવસ મોકલી ન હતી. જાનકીનું નાનપણ વિદાય થવા માંડ્યું ત્યારથી એમણે એને છોકરાની સોબતના ખતરા વિશે સમજ આપવ માંડી હતી. તેમણે જાનકીનો ઉછેર ભારતમાં વસતાં માબાપની જેમ કર્યો હતો. અહીં અમેરિકામાં પણ એમનું સર્કલ બધું ભારતીય હતું. જાનકીને પણ પોતે ભારતીય છે એનું ગૌરવ હતું. ભારતીય સંસ્કારનું ગૌરવ હતું. ભારત જવું એને ગમતું હતું. પરંતુ આ તો વર પસંદ કરવા જવાનું હતું. ઘડી બે ઘડી કોઈને મળીને એની સાથે આખી જિંદગી રહી શકાશે કે નહિ એ નક્કી કરવું કેટલું કઠિન છે.
પણ અક્ષયભાઈ કહે, ‘આપણા દેશની આ જ રીત છે. ઘર અને કુટુંબ વિશે તપાસ કરીને વડીલો બે-ચાર પાત્રો નક્કી કરે, પરણનાર વ્યક્તિ એકાદ-બે વાર જુએ મળે ને પસંદગી કરી લે. અમે બધાં આ રીતે જ પરણ્યાં છીએ. અને સુખી થવું હોય તો આપણી રીત શ્રેષ્ઠ છે.’

રૂપાબેન બોલ્યાં, ‘છોકરો ભારતીય હોય, આપણી સંસ્કૃતિ, સંસ્કાર અને રીતરિવાજ પ્રમાણે ઊછર્યો હોય તો એની સાથે મનનો મેળ સહેલાઈથી બેસે, એ આપણી લાગણીઓ સમજી શકે.’

‘અહીંના ધોળિયાઓ આપણી કુટુંબભાવના કંઈ ના સમજે, પતિ-પત્નીના સંબંધની ગરિમા ના જાણે, એમને તો તરંગ ઊઠે એટલે છૂટાછેડા લઈ લે. એમને એમની જાત સિવાય કોઈ દેખાય નહિ. લાંબા લગ્નજીવનનો એક ઘડીમાં ફેંસલો મૂકીને ચાલી નીકળે.’ જાનકી મમ્મી-પપ્પાની વાત સાંભળે છે, વિવેકથી સાંભળે છે અને પછી ધીરે રહીને કહે છે, ‘તમે કહો છો એમાં પ્રેમનું નામ તો આવતું જ નથી. મારી નજરે તો સુખી થવા પ્રેમ સૌથી પહેલાં જોઈએ.’
‘ઓ બેટા, તારી વાત સાચી છે. પ્રેમ જોઈએ, પરંતુ સંબંધને ટકાવી રાખવા, એની માવજત કરવા સંસ્કાર જોઈએ, નિષ્ઠા જોઈએ, જે આપણા ભારતીય છોકરામાં મળશે.’

મમ્મી-પપ્પાની સલાહને મનમાં વાગોળતી વાગોળતી જાનકી ઈન્ડિયા પહોંચી. જાનકીનો જન્મ ઈન્ડિયામાં થયો હતો. પાંચેક વર્ષની ઉંમર સુધી એ ઈન્ડિયામાં જ ઊછરી હતી. અમેરિકામાં વસ્યા પછી ય એ એક-બે વાર ઈન્ડિયા ગઈ હતી. ઈન્ડિયા એના માટે અપરિચિત નહોતું. મોટાકાકાએ એને ખૂબ ભાવથી આવકારી. બધાં સગાં ભાવથી ભેટ્યાં.

જાનકી વિચારે છે, આ સગાંઓ પપ્પાને ઓળખે છે, પપ્પા સાથે તેઓ રહ્યાં છે અને હું પપ્પાની દીકરી છું એટલું સાંભળીને કેવા પ્રેમથી વાતો કરે છે. પપ્પા સાથેની યાદો તાજી કરે છે. એમની વાતોમાંથી પપ્પા અને મમ્મી વિશે કેટલું બધું નવું જાણી શકાય છે. મારા કરતાંય તેઓ મમ્મી-પપ્પાને વધારે જાણે છે. જાનકીને થયું, અમે બધાં કેવા અદશ્ય તંતુથી બંધાયેલાં છીએ. આ બધાં મારાં છે, હું આ બધાંની છું. હું ભારતની છું.

મોટાકાકાએ બતાવેલા ત્રણેક છોકરામાંથી જાનકીને શુભમ્ સૌથી વધારે ગમ્યો. એ પોતાની નજીક લાગ્યો.

શુભમ્ એનાં માબાપનો એક નો એક છોકરો હતો. દેખાવમાં સોહામણો અને સૌમ્ય, સ્વભાવે આનંદી અને કુશાગ્ર બુદ્ધિમાન હતો, એન્જિનિયર થઈને એમ.બી.એ થયેલો. જાનકી નિ:સંકોચ એના ઘરે જવા-આવવા માંડી. શુભમ્ ઘણીવાર બહાર ફરવા જવાનું સૂચન કરતો ત્યારે એ કહેતી, અમેરિકામાં ખૂબ ફરવાનું મળે છે, અહીં મને ઘરમાં બેસવા દે. જાનકી શુભમ્ ને જીવનસાથી તરીકે નક્કી કરી ચૂકી હતી. ખૂબ વિશ્વાસથી એ વિચારતી, અમારો જીવનપંથ ભવિષ્યમાં ઉપર જતો હશે કે નીચે, હું ને શુભમ્ સાથે ને સાથે જ હોઈશું. પરિસ્થિતિ ગમે તેવી હશે, અમારામાં કોઈ પરિવર્તન નહિ આવે.

શુભમ્ નું ઘર જાનકીને પોતાનું ઘર લાગતું. એનાં માબાપ અને બહેન એને પોતાનાં લાગતાં. એણે અમેરિકા કોલ કરીને અક્ષયભાઈ અને રૂપાબેનને કહી દીધું કે આપણને કલ્પનામાં ય ના આવે એવો સરસ છોકરો શુભમ્ મને મળી ગયો છે. હું ખૂબ ખુશ છું.
અક્ષયભાઈ બોલ્યા, ‘શુભમ્ નું ક્વોલિફિકેશન સારું છે, અહીં સેટલ થવામાં સરળતા રહેશે.’
અક્ષતભાઈ અને રૂપાબેન હોંશથી ભારત જવાની તૈયારી કરવા માંડ્યાં. બધા મિત્રો, સ્વજનોને એમણે આ શુભ સમાચાર પહોંચાડી દીધા અને લગ્ન કરાવીને અહીં આવીને ગ્રાન્ડ પાર્ટી આપવાનું વચન આપ્યું. ત્યાં જાનકીનો ઈન્ડિયાથી કોલ આવ્યો, ‘હું ત્યાં પાછી આવી રહી છું.’

‘અહીં, પાછી, કેમ? શું થયું બેટી ? તારું લગ્ન ? શુભમ્ ? બધું કુશળમંગળ છે ને ?’ અક્ષયભાઈએ એકસામટા અનેક પ્રશ્નો પૂછી કાઢયા. એમના અવાજમાં આંચકો હતો, આઘાત હતો.

અક્ષયભાઈના બધા પ્રશ્નોના જવાબમાં જાનકી બોલી, ‘એ બધી વાતો ભૂલી જાઓ.’
રૂપાબેને ચિંતાતુર અવાજે પૂછયું, ‘બેટા, હું ત્યાં આવી જાઉં ?’
જાનકી સ્વસ્થ સૂરે બોલી, ‘ના, હું ત્યાં આવું છું, તમે ચિંતા ના કરશો.’
દીકરી કહે છે, ચિંતા ના કરશો, પણ મા-બાપ એમ ચિંતા છોડીને નઘરોળ બની શકે ? કંઈ કેટલીય શંકા, કુશંકા, તર્ક, વિતર્કથી મન ઊભરાવા માંડ્યું.

જાનકી આવી. ઘરના દીવાનખાનામાં શાંતિથી બેસીને એ બોલી, ‘શુભમ્, એનું ઘર, એનાં મા-બાપ, બધાં સારા છે. એમને કોઈ વ્યસન નથી, દુર્ગુણ નથી, સમાજમાં આબરુ છે, પ્રતિષ્ઠા છે….’
‘તો વાંધો ક્યાં આવ્યો, તારું મન કેમ પાછું પડ્યું ?’ અક્ષયભાઈએ ધીરેથી દીકરીને પૂછયું. એમને દીકરીની બુદ્ધિ અને નિર્ણયશક્તિ પર પૂરો ભરોસો હતો. દીકરી ઉતાવળિયું કોઈ પગલું ભરે એવી નથી. એને યોગ્ય લાગે એમ જ એણે નક્કી કર્યું હશે. તો પહેલાં શુભમ્ માટે હા કહી અને પછી ના કેમ ? એવું શું બની ગયું હશે બે વચ્ચે ?

જાનકી બોલી, ‘શુભમ્ સાથે જીવવું હોય તો મારે મારી જાતને ભૂલી જવી પડે. મનોમન ગૂંગળાવું પડે એ મને મંજૂર નથી.’

‘એ એવો ડોમિનેટિંગ છે, સરમુખત્યાર છે એ નક્કી કર્યા પહેલાં ખ્યાલ નહોતો આવ્યો ? તે સ્પષ્ટપણે પૂછયું ન હતું ? તારા વિચારો એને જણાવ્યા ન હતા ?’

‘જણાવ્યા હતા, પતિપત્નીના સમાન હકની વાત મેં કરી હતી અને એણે કહ્યું કે એ સમાન હકમાં માને છે. એણે કહ્યું હતું કે કોઈની પર હુકમ ચલાવવો એ તો જંગલીપણું છે, માણસ માત્રને માન આપવું એ સંસ્કારી માણસનું પહેલું લક્ષણ છે. એ મને પૂરું માન આપતો હતો. મારી લાગણી અને સુક્ષ્મમાં સુક્ષ્મ સંવેદન એ પામી જતો હતો. હું દુભાઉં નહિ એની કાળજી લેતો હતો. પણ એક દિવસ હું એના ઘેર બેઠી હતી…’ આટલું કહીને જાનકી અટકી ગઈ, પછી સહેજ વારે બોલી, ‘મમ્મી, પપ્પા, એ આખો પ્રસંગ હું નથી વર્ણવતી, પણ શુભમે એની મમ્મી સાથે જે તોછડાઈ દાખવી, અપમાનભર્યું વર્તન દાખવ્યું, હું તો ડઘાઈ જ ગઈ. એની મમ્મી કંઈક કહેવા ગઈ અને એણે જે ધૂત્કારથી એને દબાવી દીધી, ચૂપ કરી દીધી એ વખતે એનાં મમ્મી લાચાર બનીને ચૂપ રહ્યાં, એમને એવું વર્તન સહન કરવાની, ચલાવી લેવાની ટેવ હશે પણ મમ્મી, પપ્પા, હું એવું ના ચલાવી શકું. અને એવું ચલાવવું પણ શા માટે? તે દિવસે મને શુભમ્ નું સાચું સ્વરૂપ દેખાઈ ગયું. જે છોકરો આવો રુક્ષ, તોછડો, જડ બની શકે એ મારો જીવનસાથી થવાને યોગ્ય ના હોય. મમ્મી, મને થયું, એના આવા સ્વભાવના કારણે મારે એની સાથે મતભેદ પડે જ પડે. એના આવા વર્તનનો વિરોધ કરીને એનો સદભાવ, એનો પ્રેમ હું જાળવી શકું ખરી ? મારી અસંમતિ સાથે એ સંમત થઈને ખુશ રહી શકે ખરો ? પપ્પા આપણે અહીં વસેલા ભારતીયો ઈન્ડિયન ખોરાક ખાઈએ, ભારતના સંસ્કાર અને ધર્મની વાતો કરીએ અને માનીએ કે આપણે ભારતીય છીએ. તમે અને તમારી પેઢીના જેઓ પાછળથી અહીં આવીને વસ્યા છો એમના માટે એ સાચું છે. તમારાં જીવનમૂલ્યો, તમારા સંસ્કાર, તમારું માનસ સંપૂર્ણપણે ભારતીય છે. તમારા મોંએ અમે ભારતની વાતો સાંભળ્યા કરી હતી. જે સાંભળ્યું એ બધું અમારી અંદર ઊતરી ગયું હશે, પણ અમારું ઘડતર માત્ર તમારી વાતોથી જ નથી થયું. પાંચ વર્ષની ઉંમરે હું અમેરિકા આવી હતી, અહીંના સંસ્કારો પણ મારા કુમળા માનસ પર ઝીલાયા હશે. અહીંની સમાજિક માન્યતાઓ, પ્રથાએ મારા માનસને ઘડવામાં ભાગ ભજવ્યો છે. મારો બાહ્ય દેખાવ, રૂપ, રંગ તમારા જેવા છે, પણ અંદરથી હું તમારા જેવી નથી, હું મારી જાતને બીજામાં ઓગાળી ના શકું. સંવાદી જિંદગી કે પ્રેમના આદર્શ માટે સ્વમાન છોડી ના શકું. ત્યાં જન્મેલો અને ત્યાંની રીતે જીવતો છોકરો હું ના સ્વીકારી શકું.’

‘તો હવે તું શું કરીશ, બેટી ?’

‘હું અહીં રહેતા, અહીંના માનસથી, માન્યતાઓથી પરિચિત કોઈ ભારતીય છોકરા સાથે પરણીશ. એવું યોગ્ય પાત્ર મારા જીવનમાં આવે ત્યાં સુધી રાહ જોઈશ. તમે મારી ચિંતા ના કરશો.’

આપણી જિંદગી – અવંતિકા ગુણવંત

મધુકાંતના ગયા પછી અમુભાઈ એકદમ ચૂપ થઈ ગયા. સવિતાબહેન વિચારે છે આ બે દિવસ મધુભાઈ હતા ત્યારે તો બેઉ મિત્રો કેટલી વાતો કરતા હતા ને હસતા હતા. અરે જમવા બોલાવું તોય ઝટ ડાઈનિંગ ટેબલ પર આવે નહિ, રાત્રે હું તો ઊંઘી ગઈ હતી પણ એ બેઉ તો વાતો જ કરતા રહ્યા હતા, અને મધુભાઈના ગયા પછી આ કેમ ચૂપ થઈ ગયા ? જાણે કોઈ ગંભીર વિચારમાં ડૂબી ગયા છે, શું થયું છે પૂછું ? પૂછું, પછું એમ સવિતાબહેનને થાય પણ પૂછી શક્યાં નહિ.

એક દિવસ આખો પસાર થઈ ગયો, પરંતુ અમુભાઈ તો એવા જ સૂનમૂન અને વિચારમગ્ન હતા. હવે સવિતાબહેનથી રહેવાયું નહિ. એમણે પૂછ્યું તો અમુભાઈ બોલ્યા, ‘સવિતા ! તેં ના પૂછ્યું હોત તોય તને હું કહેવાનો જ હતો. આપણી નિષ્ફળતાની વાત તને ના કહું તો બીજા કોને કહું, પણ કેવી રીતે કહું, ક્યાંથી શરૂ કરું એ જ સમજાતું નહતું.’

સવિતાબહેનને નવાઈ લાગી કે પતિ આજે આ કેવી વાત કરે છે ? લગ્ન થયે ચાળીસ વર્ષ થયાં પતિએ જિંદગી નિષ્ફળ ગઈ છે એવું કદી કહ્યું નથી ને અમારી જિંદગી ક્યાં નિષ્ફળ ગઈ છે ? એમના પિતા તો નાની ઉંમરમાં મૃત્યુ પામ્યા હતા. મામાના ઘેર રહીને ભણ્યા અને આ વૈભવ, આ સંપત્તિ બધું એમના પુરુષાર્થનું ફળ છે. બેઉ દીકરીઓને સારી રીતે ભણાવીને સારા ઘેર પરણાવી છે. એ બેઉ સુખી છે.

સમાજમાં અમારી પ્રતિષ્ઠા છે. આ બે માળનો અમારો બંગલો, નોકર, રસોઈયો, ડ્રાયવર… કેટલી નિરાંતભરી અમારી જિંદગી છે ! શરીર પણ તંદુરસ્ત છે, એ પાંસઠના થવા આવશે પણ બાવન-ચોપનના લાગે. રોજ એક કલાક તો સ્વિમિંગ કરવા જાય છે. હું ગાર્ડનમાં ચાલવા જાઉં છું. દર વરસે પરદેશની ટૂર પર જઈએ છીએ. દુનિયામાં જોવાલાયક બધું જોઈ કાઢ્યું છે છતાં અમારી જિંદગી નિષ્ફળ ગઈ ? અરે લોકો અમારી જિંદગીની ઈર્ષા કરે છે. મારી બહેનો કહે છે કે સવુબહેન, ગયા ભવ તે એવાં તો કેવાં પૂણ્ય કર્યાં છે કે સુખ, સુખ અને સુખ જ તને મળ્યું છે. તારે તો સાસુ-સસરાની ચિંતા નહિ કે દિયર-જેઠ-નણંદનો ભાર નહિ. એય રાજરાણીનું સુખ ભોગવે છે. આવી સુખી જિંદગીને નિષ્ફળ કઈ રીતે કહેવાય ?

સવિતાબહેન મોં ખોલીને પતિને કંઈ કહેવા જાય છે પણ પતિના મ્લાન ચહેરો ને ભીની ભીની આંખ જોઈને કંઈ બોલી શક્તા નથી. પતિ હમણાં જે બે વાક્યો બોલ્યા ત્યારેય એમનો અવાજ કેવો ગળગળો હતો ! શું થયું છે એમને ! સવિતાબહેન મૂંઝાઈ ગયાં. એમને સ્નેહથી પતિના હાથ પર હાથ મૂક્યો, અને પતિ કંઈ બોલે એની રાહ જોતાં એમને જોઈ રહ્યાં.

અંતે અમુભાઈ બોલ્યાં, ‘તું જાણે છે કે મધુકાંત મારો નાનપણનો દોસ્ત છે, ગામમાં એક જ મહોલ્લામાં અમે રહેતા હતા. મારા બાપુજી તો હું નાનો હતો ને ગુજરી ગયા. પછી હું ને મારી બા મામાના ઘેર અમદાવાદ રહેતાં હતાં. હું અમદાવાદની સ્કૂલમાં ભણતો હતો. મધુકાંત આઠ ધોરણ સુધી ગામમાં ભણ્યો પણ પછી અમદાવાદ ભણવા આવ્યો. એ બોર્ડિંગમાં રહીને ભણે. અવારનવાર એ મારી સાથે મામાના ઘેર આવે ત્યારે મામી કાયમ એને જમાડીને મોકલે. મધુકાંત મામા-મામીના હેતને યાદ કરીને એટલો ભાવવિભોર થઈ ગયો હતો, મને કહે તારાં મામી જેવી લાગણીવાળી મેં કોઈ બાઈ નથી જોઈ, બધાં એને પોતાના લાગે, કોઈ પારકું ન લાગે. હજી સ્વપ્નમાંય મને મામી દેખાય છે.

સવિતા, મામાને પોતાનાં તો એક દીકરીને દીકરો. ઘરનાં તો એ કુલ ચાર જણ જ કહેવાય. પણ કદી ઘરમાં એ લોકો ચાર જણ એકલાં રહ્યાં નથી. એમનું ઘર માણસોથી ભરેલું જ હોય. કેટલા પિતરાઈ ભાઈ-બહેનોનાં છોકરાં ત્યાં ભણે. એમણે એમનાં દીકરા-દીકરીને કોઈ વિશેષભાવે રાખ્યાં નથી કે અમને એક ઘડી માટેય પારકાં ગણ્યાં નથી. અમારી અને એમની વચ્ચે કોઈ વેરોઆંતરો રાખ્યો નથી. બહારનાને તો ખબર જ ન પડે કે ઘરનાં છોકરાં કોણ છે. અમે નાનાંહતાં, નાદાન હતાં, કોઈ તોફાન કર્યું હશે, ભાંગ્યું-તોડ્યું હશે, અવિનયથી વર્ત્યાં હોઈશું પણ મામા-મામી કદી કઠોર થઈને વઢ્યાં નથી. કાયમ પ્રેમથી સમજાવ્યું છે. કોઈના માટે એમને લેશમાત્ર દુર્ભાવ નહિ. મામા-મામી એટલા સહજભાવે અમને રાખતાં કે હું તને પ્રસંગો કહેવા બેસું તો ખૂટે નહિ એટલા છે. માંદે-સાજે જે ચાકરી કરે, એ યાદ કરતાંય આજે આંસુ ઊભરાય છે. હું માંદો હતો ત્યારે મામી ઉજાગરા કરે, મારી બા નહિ. મામી વાર્તા કહેતાં જાય ને મને દવા પિવડાવે. મોસંબીનો રસ પિવડાવે. આટલો સ્નેહ, આટલી ઉદારતા અને સરળતા ! આજે યાદ આવે છે ને હું આભો બની જાઉં છું.

સવિતા, આપણે આપણા સંતાનો માટે જ જે કર્યું છે એ એમણે બધાંને માટે કર્યું છે અને કદી કહી બતાવ્યું નથી. મને થાય છે આપણે આપણાં સંતાનોને ઉછેરવા જે કર્યું એ મોટી નવાઈ કરી હોય એમ કહી બતાવતાં અચકાતાં નથી, જ્યારે મામા-મામીએ કદી કોઈનેય યાદ નથી કરાવ્યું કે એમણે શું શું કર્યું, કેવો ભોગ આપ્યો, કેવો ત્યાગ કર્યો. મેં અને મધુએ મામા-મામી વિશે જ વાતો કરી ને અફસોસ કર્યો કે અમારી સામે નજર આગળ આવડો મોટો આદર્શ હતો એ પ્રમાણે અમે કેમ જીવ્યા નહિ. અમે તો માત્ર પૈસા કમાઈ જાણ્યો ને પંડમાં વાપર્યો. આપણા ભાવ ને લાગણીય જાણે બનાવટી છે. પોતાનું પેટ તો કૂતરાં-બિલાડાંય ભરે છે એમાં શી નવાઈ કરી ! હું શ્રેષ્ઠ માણસોમાંય શ્રેષ્ઠતમ ગણાય એવાં મામા-મામી પાસે રહ્યો છતાંય એમનો પાસ મને કેમ ન લાગ્યો ? એમનો લાભ મને મળ્યો પણ મારું મન કેમ આવું ભૌતિકવાદી રહ્યું. હું ઊંચાઈએ ન પહોંચ્યો.’

‘તમે કહો છો એ વાત સાચી પણ એમની ઊંચાઈએ પહોંચવાનું આપણું ગજું નહિ.’ સવિતાબહેન બોલ્યાં.

‘સાચી વાત છે. એમણે પૈસા ખરચતાં કદી નથી જોયું કે એ કોના માટે ખરચાય છે. એમનાં બારણાં દરેકના માટે ખુલ્લાં રહેતાં. કોઈ પણ સમયે મદદનો પોકાર પાડતો માણસ ત્યાં જઈ પહોંચે ને એને મદદ મળે જ. એમનો હાથ કદી ટૂંકો ન પડે. હું નાનો હતો ત્યારે નજરે એ બધું જોતો અને મને એ જ સ્વાભાવિક જીવન લાગતું. આવનાર માણસ ખુશી થઈને પાછો જતાં જોઉં ત્યારે મને એવું નહતું લાગતું કે મામા-મામી કોઈ અસાધારણ કામ કરી રહ્યાં છે. આજે સમજાય છે કે મને કેમ એવું નહોતું લાગતું, એનું કારણ એક જ હતું, મામા-મામીમાં જરાય દંભ ન હતો. દેખાડો ન હતો. મોટાઈ ન હતી. એ પોતે તદ્દન સાધારણ કામ કરતાં હોય એ રીતે અસાધારણ કામ કરતાં. મામા-મામી ખરેખર અસાધારણ માણસો હતાં. આજ સુધી હું એમની એ અસાધારણતા સમજી ન શક્યો. હું કેટલો મૂઢ !

સવિતા, આજે મને સમજાય છે આપણે કેટલું ગુમાવ્યું છે ! આપણે ધન કમાયા અને માની લીધું કે આપણે બહુ ઊંચા છીએ, આપણે અન્યની જોડે હળવા-મળવાનું બંધ કરી દીધું. પાડોશીઓ સાથે માત્ર ઔપચારિક સંબંધ રાખીએ છીએ. અગાઉથી જણાવ્યા વગર આપણે કોઈ મળવા ન આવી શકે. આપણું આવડું મોટું ઘર છે, આ વિશાળ આંગણું, આ ધનદોલત, કોઈનાય કામમાં આવે છે ? જો ને કેવો સૂનકાર છે બધે ! ક્યાંય કિલ્લોલ છે ? આપણી સાવ નિ:સંગ જિંદગીએ આપણને ચૈતન્યશૂન્ય બનાવી દીધાં છે. આપણા હૃદયને લકવા થઈ ગયો છે.’

સવિતાબહેન બોલ્યાં, ‘પરંતુ આજ સુધી તો તમે આપણી જિંદગીથી કેટલા સંતુષ્ટ હતા ! તમે કહેતા હતા કે આપણે શૂન્યમાંથી સર્જન કર્યું. આપણી જિંદગી તો એક દ્રષ્ટાંત કહેવાય, અને તમે માનતા હતા એમાં ક્શું ખોટુંય ન હતું. તમે મધુભાઈની સાથે વાતો કરીને વધારે પડતા ભાવુક થઈ ગયા છો. તમે પુરુષાર્થ કરીને આપણી આ જાહોજલાલીવાળી દુનિયા સર્જી છે. તમે અસાધારણ જ છો. બધા તમારા જેટલું મેળવી નથી શક્તા !’

‘ઓ સવિતા, આપણે આપણી જાતમાં એટલાં લીન થઈ ગયાં છીએ કે આપણા સિવાય બીજા કોઈને પ્રેમ નથી કરી શક્તાં. આપણે સ્વકેન્દ્રી છીએ. આ આત્મરતિ આપણા જીવનનું આલંબન બની ગઈ છે. પણ તું મારાં મામા-મામીની જિંદગીને જો, અને વિચાર કર. સ્નેહથી પરિપૂર્ણ એ જિંદગી ! એમણે જિંદગીમાં આપ્યા જ કર્યું છે અને આપણે મહત્વાકાંક્ષી બનીને એકઠું કરતાં રહ્યાં છીએ. આપણી આવી જિંદગી પર શું ગર્વ કરવાનો ? સવિતા, એમનાં જીવન ત્યાગનાં સૌંદર્યથી શોભતાં હતાં ને આપણે અંતિમ ઘડી સુધી ધનને સાચવતાં બેસી રહીશું ! આપણી જિંદગી તો નકામી કહેવાય.

સવિતા, મારા મનમાં અજંપો જાગ્યો છે, હું બેચેન બની ગયો છું. મારે – આપણા નાનકડા કૂંડાળામાંથી બહાર આવવું છે.’

‘શું કરવા ધારો છો ? તમે માંડીને વાત કરોને. તમે જે કહેશો ને કરશો એમાં હું સંપૂર્ણ સાથ આપીશ. પણ તમે નિરાશામાંથી બહાર આવો.’

‘મારે આપણી જિંદગી મામા-મામીના જેવી સુંદર બનાવવી છે. વૃદ્ધાવસ્થા ત્યાગથી જ સુંદર થાય. હવે આપણો સમય, શક્તિ અને ધન જરૂરતમંદો માટે ખરચીશું.’

લગ્નની વ્યાખ્યા બદલાય છે….– અવંતિકા ગુણવંત

શાસ્તા અને તન્વય , લગ્ન થયાં ત્યારે બેઉ આસમાનમાં ઊડતાં હતાં. તન્વય સગર્વ કહેતો. ‘મારે જોઇતી હતી એવી જ પત્ની મને મળી, ભણેલી ગણેલી, પ્રોફેશનલ ડિગ્રીવાળી ઉપરાંત એની લાઇનમાં આગળ વધેલી’

શાસ્તા કહેતી હતી, ‘મને સમજી શકે, મારી કદર કરી શકે ને મારી કેરિયર ખીલવા દે એવો પતિ મારે જોઇતો હતો. તેથી તો આટલાં વરસો સુધી રાહ જોઇ. અંતે મારી પ્રતીક્ષા સાર્થક થઇ ગઇ.’

બેઉ એકબીજાને કહેતાં,’આપણે અન્યોન્ય માટે જ સર્જાયાં છીએ. આપણું જીવન એક આદર્શ જીવન હશે – સુખ અને સુંદરતાથી છલકાઇ જતું.’ બેઉ સમાન સ્વપ્નો જોતા હતાં. પણ એમનાં આ સ્વપ્નાં સાકાર નાં થયાં. એકાદ બે મહિનામાં જ એમના પ્રેમના મહેલમાં તિરાડો પડવા માંડી. ગીત-સંગીતના સ્થાને ઘાંટાઘાંટા અને ફૂંફાડા સંભાળાવા માંડ્યાં.

શાસ્તાની મોડા ઊઠવાની ટેવ, બહાર જવાની વખતે જ નહાવાની ટેવ, મન થાય ત્યારે જ રસોડામાં જવાની ટેવ, ઘડિયાળના કાંટે નહીં પણ મૂડ પ્રમાણે કામ કરવાની આદત તન્વયને ના ગમે. તન્વય શિસ્તબદ્ધ શૈલીમાં ઊછર્યો હતો. તેથી એ કચકચ કરતો, તો શાસ્તા કહે, ‘તારે દસ વાગે જમવાનું જોઇએ છે ને, ત્યારે તને મળી રહે છે, પછી હું રસોડામાં સાત વાગે પેસું કે નવ વાગે, તું શું કામ ચિંતા કરે છે?’
‘પણ મમ્મી તો સવારથી રસોડમાં જ હોય છે.’ તન્વય દલીલ કરતો.
‘મેં મમ્મીને કહ્યું છે, હું રસોઇ કરીશ. મેં જવાબદારી લીધી પછીય તેઓ રસોડામાં જાય તો હું શું કરું ?’
‘પણ તું મોડે સુધી બહાર બેસી રહે તો એમનો જીવ કેમ ઝાલ્યો રહે ? સવારે તો રસોડું સંભાળવું જ જોઇએ !’
‘રસોડું નહી રસોઇ; અને હું ક્યારે એ શરૂ કરું, કેવી રીતે કરું એ મારી પર છોડી દેવાનું હોય, તમારે તો ખાવા સાથે જ મતલબ રાખવાનો હોય.’ શાસ્તા કહેતી.
શાસ્તાની વાત સાચી હતી પણ પોતાની મમ્મી વરસોથી જે કાર્યપદ્ધતિથી ટેવાઇ ગઇ હોય એ રીતે શાસ્તા અનુસરે એવો તન્વય આગ્રહ રાખે ને શાસ્તાને એ વાત સ્વીકાર્ય નહીં. એ એની રીતને જ વળગી રહે. આમ મતભેદ ની શરૂઆત પછી તો શાસ્તાના દરેક કામમાં સાસુને ખામી દેખાવા માંડી ને એમનો બડબડાટ શરૂ થઇ ગયો.

મોજથી જીવે જાઓ – અવંતિકા ગુણવંત

આરતી અને પ્રિયાંકનો હાઇસ્કુલનો અભ્યાસ પૂરો થવા આવ્યો. વિશેષ અભ્યાસ માટે તેઓ હવે દૂર જશે. હવે આપણું ઘર સૂનું પડી જશે.’ રાતદિવસ વિશાખા આ એક જ વાત રટ્યા કરે છે.
’બધાં મા-બાપના જીવનમાં આવું બને છે. બધાંનાં સંતાનો દૂર દૂર જાય છે.’ અતુલ કહેતો.
‘પણ મારાથી એમને નજર આગળથી દૂર ના કઢાય. શું છોકરાંઓને આટલા માટે જન્મ આપીએ છીએ, આટલા માટે ઉછેરીને મોટાં કરીએ છીએ કે, તેઓ આપણને સૂનાં મૂકીને જતાં રહે. એ જશે પછી આપણાં જીવનમાં શું રહેશે?’ વિશાખાનો બળાપો શમતો નથી.

અતુલ સમજાવે છે, “સંસારનો આ જ ક્રમ છે. આપણા ઉજજ્વળ ભાવિની ખેવનામાં અહીં આવીને આપણે વસ્યાં ત્યારે આપણાં મા-બાપનો વિચાર કર્યો હતો ? બધાં મા-બાપનો આવો અનુભવ છે.”

‘આપણે આપણાં મા-બાપને ભૂલી નથી ગયાં કાયમ માટે. અહીં વસવાનો એમને આગ્રહ કરીએ છીએ. એ નથી આવતાં તો આપણે શું કરીએ ? તો ય તેઓ પાંચેક વાર અહીં આવી ગયાં, એક-બે વરસે આપણે એમને મળવા જઇએ છીએ. મહિને મહિને કોલ કરીએ છીએ. તેઓ દૂર વસે છે પણ હૃદયથી નજીક છે. જયારે આ આરતી ને પ્રિયાંક તો ઘર છોડવા થનગની રહ્યાં છે. કોણ જાણે આપણે એમને બાંધી રાખ્યાં હોય અને એમનો છૂટકારો થવાનો હોય એમ રોજ સ્વતંત્ર થવાની વાતો કરે છે, તેઓ કેવો રોમાંચ અનુભવે છે. જાણે કોઇ રાજપાટ મળી જવાનાં હોય.’

‘આ બધું સ્વાભાવિક છે, વિશાખા, સ્વતંત્ર જીવન કોણ ના ઝંખતું હોય ? તારે ખુશ થવાનું કે આપણાં સંતાનો પરિપક્વ થતાં જાય છે. સ્વતંત્ર રીતે જીવવા કાબેલ બન્યા છે. આપણે એમને સારા-ખોટાં નો વિવેક શીખવ્યો છે, ભારતીય્ સંસ્કારો સીંચવ્યાં છે તેથી કોઇ ફિકર નહી કરવાની.’ અતુલે કહ્યું.
‘છોકરાંઓ ખોટા માર્ગે જશે એનો મને ડર નથી, આજ સુધી એમણે આપણું સાંભળ્યુ છે ને ભવિષ્યમાં પણ સાંભળશે, આપણી સલાહ માનશે એની મને ખાતરી છે પણ ઘર છોડીને દૂર જવા તેઓ જે રીતે આતુર છે એ મને ખૂંચે છે. એક પળ માટેય તેઓ એવું નથી વિચારતાં કે મમ્મી-પપ્પા સૂનાં પડી જશે. આપણાં વગર મમ્મી-પપ્પા શું કરશે? એમનો સર્વાંગી વિકાસ થાય માટે, એમની પર સંપૂર્ણ ધ્યાન આપવા મેં બીજી સ્ત્રીઓની જેમ નોકરી નથી કરી. સતત એમની સાથે રહી છું, એમના વિકાસની નાનામાં નાની વિગત મારી ડાયરીમાં મેં નોંધી છે.’

‘અતુલ, તું તો તારી જોબ માં જ ડૂબેલો રહ્યો છે, એટલે તને ના લાગે પણ હું તો એમનામય થઇને જીવી છું. એમની જુદાઇના વિચારથી હું બેચેન થઇ જાઉં છું તો એમને કેમ કશું થતું નથી.’
‘બાળકો તો એમના વિચારોમાં જ મસ્ત હોય. એ દુ:ખી ના થાય એ જ વધારે સારુ છે, અને તું આટલાં વરસો એમની સાથે આનંદ-કિલ્લોલ કરીને મસ્તીથી જીવી માટે ઇશ્વરનો આભાર માન. હવે સંતાનોની પ્રગતિ દૂરથી જોવાની અને ખુશ થવાનું.’
‘ના, એવી રીતે હું ખુશ ના રહી શકું.’
‘તો શું સંતાનો તને બંધાયેલા રહે ? વિશાખા, એમાં તો એમનો વિકાસ રૂંધાઇ જાય. એ ઇચ્છનીય નથી, સંતાનોના હિતમાં નથી. એવી અવ્યવહારુ ઇચ્છાઓ રાખીને દુ:ખી ના થવાય. તું તટસ્થ રીતે બુધ્ધિથી વિચાર. હવે આપણા જીવનનો એક તબક્કો પૂરો થયો. આપણી ફરજ સરસ રીતે પૂરી થઇ. હવે ભવિષ્યમાં આપણે બે કેવી રીતે જીવીશું એનું આયોજન કરવાનું. સંતાનો આપણાં જીવનનાં કેન્દ્ર સ્થાનેથી દૂર જાય છે એટલે આપણા પ્રેમની સમાપ્તિ નથી થઇ જતી. આપણું જીવન પૂરું નથી થઇ જતું. હવે હું ને તું આપણી બાકી રહેલી ઇચ્છાઓ, શોખ, પ્રોજેક્ટો પૂરાં કરીશું અને તને સાચું કહું તો છોકરાંઓ દૂર રહીને વિકાસ સાધે એ જ ઉત્તમ છે. વેદકાળમાં આપણાં દેશમાં બાળક પાંચ વરસની ઉંમરે માબાપ અને ઘરેથી દૂર ગુરુને ત્યાં વિધા સંપાદન કરવા જતો હતો ને ! ત્યારે મા બાપ એકલાં નહીં પડી જતાં હોય ?’
‘અતુલ, તું તો ક્યાંનો ક્યાં સંદર્ભ આપીને મારી વાત ઉડાવી દે છે. તું કેટલો બદલાઇ ગયો છે, જાણે તારામાં લાગણી જ નથી રહી. તું પહેલાં આવો નહોતો.’
‘જો પ્રશ્ન લાગણીનો નથી. પ્રશ્ન આજની પરિસ્થિતિ નો છે.આજના સમયકાળનો છે. આપણે જો આધુનિક જિંદગી જીવવી હોય, સુખથી રહેવું હોય તો પ્રેક્ટીકલ થવું પડે, સમયની માંગ સમજવી પડે. વિશાખા, લાગણીઓમાં તણાઇને તું ભૂખીતરસી બેસી રહીશ તો આ દેશમાં કોઇ તને ખવડાવવા – પિવડાવવા નહી આવે. કોઇ તને પૂછશે નહી કે કેમ તું ઉદાસ છે ? આપણે જ આપણી જાતને સંભાળતાં શીખવું જોઇએ. પ્રસન્નતા જાળવતાં શીખવું જોઇએ. અહીં કોઇને કોઇનો વિચાર કરવાની ફુરસદ નથી, દરેક પોતપોતામાં મસ્ત રહે છે. આમાં લાગણીની ન્યુનતા કે ઓછપ નથી. અહીંની વિચારસરણી જ એ જાતની છે. આપણાં સંતાનો આ વાતાવરણમાં મોટાં થયાં છે. તેઓ આપણી પાછળ વ્યગ્ર નહીં થાય, વ્યથિત નહી થાય. અહીં આપણે અવારનવાર લોકોના મોઢે સાંભળીએ છીએ કે ‘એ તો એની સમસ્યા છે, આપણે શું?’ આ દેશમાં કોઇ કોઇની ચિંતા કરતું નથી. અહિંના જીવનની આ વાસ્તવિકતા છે, ગમે તેટલી કઠોર રહી પણ સ્વીકારવી રહી. આપણાં સંતાનો આપણી સાથે નથી રહેવાનાં, ધારે તોય ના રહી શકે એ આપણે પહેલેથી જ જાણતાં હતા પછી આ હાયવોય ને કલેશ શું કામ? છોકરાં મારાં જેવી લાગણી કેમ નથી અનુભવતાં એવી ફરિયાદ શું કામ?’

‘અતુલ, આપણું ઘડપણ કેવું વીતશે, આપણે શું કરીશું, તને કોઇ ચિંતા નથી ? આપણા કરતાં આપણાં માબાપ સુખી છે કે આપણે એમની ચિંતા કરીએ છીએ. આપણને એમની દરકાર છે તેની એમને ખાતરી છે. આપણે સતત એમના સંપર્કમાં રહીએ છીએ. આપણે જુદી જુદી રીતે લાગણી પ્રદર્શિત કરીને એમના જીવનને ભરી દેવા પ્રયત્ન કરીએ છીએ.’
‘તો આપણાં છોકરાંઓ ય મધર્સ ડે, ફાધર્સ ડે, થેંક્સગિવિંગ ડેના દિવસે કાર્ડ ભેંટ આપે છે. તેઓ નાના હતાં ત્યારે કેવા ભાવથી જાતે કાર્ડ બનાવતા હતાં. અત્યારે એમની પાસે વખત નથી એટલે કાર્ડ જાતે નથી બનાવતા પણ ખરીદીને આપવાનું ભૂલતાં નથી. કાર્ડની એમની પસંદગી, અંદરનું લખાણ કેટલું ભાવવાહી હોય છે. કાર્ડને ભેંટ મળે ત્યારે આપણે કેવાં ખુશ થઇ જઇએ છીએ. અને જો સાંભળ, આપણાં વગર આપણાં મા-બાપની રોજેરોજની જિંદગી સૂની પડી ગઇ હતી. ખાલી ઘર એમને ખાવા ધાતું હતું. છતાંયે તેમણે મનને મનાવી લીધું. તેઓ જીવે છે, આનંદથી જીવે છે, ફરિયાદ વગર જીવે છે. આપણે આપણાં મા-બાપની જેમ બદલાતી જતી જીવનરીતિને અનૂકુળ થઇને જીવવાનું. તું વિચાર, આપણાં આ નાનકડાં ટાઉનમાં મેડીકલ કોલેજ છે ? લો કોલેજ છે ? ફાર્મસી કોલેજ છે ? નથી. તો ભણવા તો દૂર જવું જ પડે ને ! પછી જોબ જ્યાં મળશે ત્યાં રહેશે. આ બધું આપણે જાણીએ છીએ. આ બધું સ્પષ્ટ છે, નિશ્ચિત છે તો એનાંથી તું ઉદ્વેગ કેમ પામે છે? તું મગજ શાંત રાખ અને જિંદગી જે રૂપ લે એ માણ. નવી સ્વતંત્ર જિંદગીનો સંતાનને ઉત્સાહ ઉત્સુકતા છે, તેનો તું પણ અનુભવ કર, તો તારી જિંદગીમાં કોઇ ઉણપ નહી વર્તાય. હવે પછી આપણી જિંદગી સમાંતરે જીવાશે, આપણી અને એમની વચ્ચે કોઇ દિવાલ નહી ચણાય. પ્રેમ છે અને રહેશે એની તું ખાતરી રાખ. હા, પ્રેમની ઉત્કટતા, તીવ્રતા ઓછી થઇ જશે પણ તેનું નામ તો જિંદગી છે.’

વિશાખા એકની એક વાત ઘુંટ્યા કરે છે પણ એ અકળાતો નથી, ગુસ્સે થતો નથી, બેદરકાર થતો નથી. એ પત્નીને બરાબર સમજે છે. અને પ્રેમથી સાંત્વન આપીને નોર્મલ રાખે છે. છતાં વિશાખા પણ વાતે વાતે બોલે છે, કોણે ખબર ઘડપણ કેવાં જશે? હા, ભુખ્યાં-તરસ્યાં નહીં રહીએ, પેટ ભરાશે પણ હૃદયમનનું શું? કોણ આપણી વાતો સાંભળશે ? માંદાં પડીશું તો જાતે નર્સિંગહોમમાં દાખલ થઇશું, શ્રેષ્ઠ દાકતરી સારવાર પણ મળશે પણ પ્રેમથી કોણ પંપાળશે, લાડ કરીને કોણ દવા પિવડાવશે ? અરે જાતે જ દવા લઇને સાજા થઇશું, એંશી વરસેય આપણે જોમ અનુભવીશું પણ એ જિંદગીમાં રસ હશે ? ઉત્સાહ હશે ? મોજ હશે ?

અતુલ કહે છે, ‘મનને તાજગી ભર્યુ અને યુવાન રાખવુ હોય તો સાહિત્ય અને કલામાં રસ લેવાનો, સમાજસેવા કરવાની. બાકી આ ક્ષણમાં જીવ. જે ભવિષ્ય દૂર છે એની ચિંતા અત્યારથી શું કામ? જીવન એની મેળે માર્ગ કરી લે છે. મન એની મેળે શોક, સંતાપ, ગૂંગળામનથી ઉપર ઉઠે છે. મન અંધારાનો જીવ નથી અને જીવન સમસ્યા નથી, જીવન તો અણમોલ લ્હાવો છે. મોજથી, મસ્તીથી માણો અને સહુને માણવા દો.’

અતુલની વાતોથી વિશાખાનું ચિત્તમન શાંત પડે છે. એનું મન સાંત્વના પામે છે.

સંસ્કારની સૌરભ – અવંતિકા ગુણવંત

પીયુષે ઘરમાં અરુણા સાથે લગ્ન કરવાની વાત કહીને મધુભાઇ ઘાટો પાડીને બોલ્યા, ‘બીજી જ્ઞાતિની છોકરી સાથે લગ્ન ? ના, ના હું નહિ ચલાવી દઉં.’

મધુભાઇએ અરુણાના ગુણ, સંસ્કાર, ભણતર કશુંય જોયા વગર વિરોધ કર્યો. પીયૂષ વિનંતીના સૂરમાં બોલ્યો, ‘બીજી જ્ઞાતિની છોકરી એટલે એના નામ પર ચોકડી મારી ના દો, પણ એક વાર એનાં મા-બાપને મળો, એના ઘરને જુઓ, એને જુઓ ને કોઇ નિર્ણય લો !’ પણ મધુભાઇએ દીકરાની વાત સાંભળી જ નહિ. મધુભાઇનો સ્વભાવ જ એવો હતો. પોતે કહે એ જ સાચું, પોતે કહે એમ જ ઘરનાંએ કરવાનું. આજ સુધી ઘરમાં એમનો બોલ કદી ઉથાપાયો ન હતો. એમની ઇચ્છા આજ્ઞા બરાબર હતી.

પણ લગ્નની બાબતમાં પીયૂષે બાપનું કહ્યું ન માન્યું. એણે અરુણા સાથે કોર્ટમાં લગ્ન કર્યાં ને એને ઘરમાં લઇ આવ્યો. બાપને પગે લાગ્યો, ત્યારે બાપે મોં ફેરવી લીધું. મધુભાઇએ દીકરાને આશીર્વાદ ન આપ્યા તેથી મધુભાઇનાં પત્ની તારાબહેન પણ મૂંગા જ રહ્યાં. રાગિણી પણ ઇચ્છા હોવાં છતાં ભાઇભાભીની આવકારી શકી નહીં. કોઇનું મૃત્યું થયું હોય એમ ઘરમાં ભારેખમ વાતાવરણ થઇ ગયું, પરંતુ પીયૂષ ઘર છોડીને ગયો નહિ.

એ સારું ભણેલો હતો. એક મલ્ટીનેશનલ કંપનીમાં ઊંચા હોદા પર હતો. કંપની તરફથી રહેવા ફ્લેટ મળતો હતો પણ એક જ શહેરમાં રહેવું અને મા-બાપની જુદા ! એ એકનો એક દીકરો હતો. માબાપે ખૂબ પ્રેમ અને જતનથી એને ઉછેર્યો હતો. એણે માબાપને પોતાની પસંદગીની છોકરી સાથે લગ્ન કરીને દુઃખ તો પહોંચાડ્યું હતું. હવે એમને વધારે દુભાવવા એ તૈયાર ન હતો. એ પત્નીને લઇને ઘરમાં જ રહ્યો. પીયૂષ નોકરીએ જાય પણ અરુણા તો આખો દિવસ ઘરમાં રહેતી. રસોઇ કરતી ને ઘરનાં નાનાં મોટાં કામ કરતી. મધુભાઇ વહુની ચાકરી સ્વીકારતા, પણ પ્રેમથી એની સાથે બોલતા નહિ.

અરુણા ધીરજથી સસરાના હ્રદય પરિવર્તનની આશા રાખી રહી હતી. ત્યારે મધુભાઇ દિવસમાં એકવાર તો બોલતા, ‘દીકરો છો ને વહુ બીજી જ્ઞાતિની લાવ્યો, પણ જમાઇ તો મારે શોધવાનો છે, હું આપણા ગોળનો જ છોકરો શોધીશ. આપણા ગોળનો હોય તો સગાનું સગપણ રહે, મીઠાશ રહે.’

સવાર સાંજ ઊઠતાં બેસતાં એક વાર તો આ રીતે હૈયાવરાળ નીકળે જ. અરુણા ચૂપચાપ સાંભળી રહે. એનાં માબાપ શિક્ષિત અને સુધારક હતાં. અરુણાએ બીજી જ્ઞાતિમાં લગ્ન કર્યાં, એમાં એમને કોઇ વાંધો ન હતો. તેઓ દીકરીનાં સાસરિયાં સાથે સંબંધ બાંધવા ઇચ્છતા હતાં. તેમણે બેચાર વાર મધુભાઇને મળવા આવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ મધુભાઇએ કદી એમને ભાવથી આવકાર્યા ન હતા. વિવેકથી પાસે બેસાડ્યા ન હતા. હેતથી વાતચીત કરી ન હતી. તેથી અરુણાએ જ કહ્યું હતું, ‘તમને જુએ છે ને મારા સસરાનો ઉશ્કેરાટ વધી જાય છે માટે હમણાં તમે મારાં ઘેર આવશો નહીં.’

એકાદ વરસ આમ જ વીત્યું, મધુભાઇની મનોદશામાં કે ઘરની પરિસ્થિતિમાં કોઇ ફરક પડ્યો નહિ. અરુણાને એ પોતાની પુત્રવધૂ તરીકે સ્વીકારી શક્યા ન હતા. બધા ઉદ્વેગમાં જીવતાં હતાં ત્યાં પીયુષને કંપની તરફથી પરદેશ જવાનું થયું. પીયુષ અને અરુણા પરદેશ ગયાં. ત્યાં ગયા પછી પીયુષ દર મહિને નિયમિત પૈસા મોકલતો, ને એ તથા અરુણા વિગતવાર લાંબા પત્રો લખતાં પણ મધુભાઇ કદી જવાબ લખતા નહિ ને એમની ધાકના લીધે ઘરમાંથી ય કોઇ જવાબ લખી શકતું નહિ.

સમય જતાં રાગિણી માટે એમણે એમની જ્ઞાતિનો મુરતિયો જોઇને પરણાવી દીધી. એ લગ્નમાં એમણે પીયુષ કે અરુણાને આમંત્રણ પણ ન પાઠવ્યું. દીકરાની સાવ અવગણના કરી. દીકરા અને વહુ પર જાણે દાઝ કાઢી. તેઓ ખુશખુશાલ હતા કે દીકરીને પોતાની જ્ઞાતિમાં પરણાવી પણ એ ખુશાલી લાંબું ન ટકી. દીકરીના સાસરિયાં લાલચુ ને લોભી હતાં. એ વારંવાર નવી નવી ચીજવસ્તુઓની માગણી કરતા ને રાગિણી વિરોધ કરે તો એને મારઝૂડ કરતાં.

મધુભાઇ દીકરીને પોતાના ઘેર પાછી તેડી લાવ્યા. પીયુષ અને અરુણાને ખબર પડી તો તેઓ તરત ઇન્ડિયા આવ્યાં. રાગિણીને પૂછ્યું, ‘બહેન, બોલ તારી શું ઇચ્છા છે ? એ ઘેર પાછી જવા ઇચ્છતી હોય તો એમની માગણી મુજબ બધી વસ્તુઓ આપીએ. અમે તને સુખી જોવા ઇચ્છીએ છીએ.’
રાગિણીએ કહ્યું, ‘ના, એ લાલચુ લોકોના ઘેર મારે નથી જવું.’
‘તો છૂટાછેડાની કાર્યવાહી કરીએ.’

છૂટાછેડાનું નામ સાંભળ્યું તો મધુભાઇ ભડકી ઊઠ્યા, ‘ના, ના, આમ કરવાથી તો આબરૂ જાય.’ પણ પીયુષે એમને સમજાવ્યા, મનાવ્યા ને રાગિણીને છૂટાછેડા લેવડાવ્યા. પછી એને બીજે ઠેકાણે પરણાવી. રાગિણીના જીવનને સુંદર વળાંક મળ્યો. હવે એ ખુશ હતી. સુખી હતી. મધુભાઇ દીકરા-વહુ તરફ કૂણા બન્યા. હવે તો એ ઊઠતા બેસતા બોલતા, ‘પ્રભુએ મને બધાં સુખ આપી દીધા. હવે મારા પીયુષના ઘેર એક બાળક આવી જાય એટલે બસ.’

ઇશ્વરે એમની એ ઇચ્છા ય પૂરી કરી, પીયુષના ઘેર દીકરાનો જન્મ થયો. મધુભાઇ અને તારાબહેન અમેરિકા જઇને પૌત્રને રમાડી આવ્યાં. ને નીકળતાં પહેલા કહ્યું, ‘દીકરો સવા વરસનો થાય એટલે તમે ઇન્ડિયા આવજો. આપણે એની બાબરી ઊતરાવીશું, મોટો જમણવાર કરીશું.’ પણ મધુભાઇની એ ઇચ્છા ન ફળી. જોબ પર જતા પીયુષની કારને અકસ્માત થયો ને તત્કાળ સ્થળ પર જ એનું અવસાન થયું. મધુભાઇ કકળી ઊઠ્યા, ‘ઓ ભગવાન આ તેં શું કર્યું ?’ કલ્પાંત કરતા મધુભાઇને સાંત્વન આપતા સૂરે અરુણા બોલી, ‘બાપુજી, તમે પડી ભાંગશો તો અમારું કોણ ? તમે હિંમત રાખો.’
‘બેટા, તમે અહીં ક્યારે આવશો ?’
‘અહીંનું સમેટીને હું ત્યાં આવું છું.’ ને બેત્રણ મહિનામાં તો અરુણા નાનકડા દીકરા હર્ષને લઇને દેશમાં આવી. આવીને સસરાને પગે લાગીને પીયુષના વિમાની પૂરી રકમ સસરાના હાથમાં મૂકી.
‘આ શું ? વિમાની રકમ પર તમારો હક હોય, તમે રાખો.’

‘બાપુજી, આ રકમ તમારી પાસે રાખો.’ વહુની વાત સાંભળીને મધુભાઇના મગજમાં વિચાર ચમક્યો, અરે વહુ તુ તો યુવાન છે, આખી જિંદગી એ શું કામ વૈધવ્ય પાળે ? એ ફરી લગ્ન કરવા માંગતી હશે, માટે એનો દીકરો મને સોંપવા ઇચ્છતી હશે ને એની પરવરિશ માટે આ રકમ આપે છે. પરંતુ હવે એમનું હૈયું સહાનુભૂતિપૂર્ણ બન્યું હતું, અરુણાની દૃષ્ટિએ વિચાર કરીને એ બોલ્યા, ‘તમે બીજે ગોઠવાઓ તો ય આ પૈસા હશે તો તમને સુગમતા રહેશે, તમે મારી ચિંતા ન કરો.’

અરુણા એકાદ ક્ષણ મૌન રહી, પછી ગળગળા અવાજે બોલી, ‘આ પળે તો મારો એવો વિચાર નથી. આ હર્ષને ઉછેરવામાં કેળવવામાં મારું ધ્યાન કેન્દ્રિત કરવા ચાહું છું.’
‘તો આ પૈસા એના નામે મૂકો.’
‘બાપુજી, એના માટે તો હું કમાઇ લઇશ. આ રકમ તમે તમારી પાસે જ રાખો. તમને ટેકણ લાકડી લાગે.’
‘બેટા, મારે પૈસો નથી જોઇતો. આજ સુધી તમે જે રીતે મારું ધ્યાન રાખ્યું છે એ રીતે ધ્યાન રાખજો.’
‘બાપુજી, ધ્યાન તો હું રાખીશ પણ આ પૈસા ય તમારા હસ્તક રાખો. ઘડપણમાં પૈસો તાકાત ગણાય.’
અરુણાના શબ્દો સાંભળીને મધુભાઇ રડી પડ્યા. ઓહ જેને હું પારકી કહેતો હતો, મારા ઘરમાં આવકારતો ન હતો એ મારો કેટલો ખ્યાલ રાખે છે ! એ કેટલી ઉદાર છે !

એણે ધાર્યું હોત તો આ હર્ષ મને સોંપીને ફરી લગ્ન કરત, પણ ના, એ તો મારો ખ્યાલ રાખે છે. એમના હ્રદયમાંથી પુત્રવધૂ માટે આશીર્વાદનો ધોધ વહ્યો. હર્ષને છાતી સરસો ચાંપીને એ બોલ્યા, ‘બેટા અરુણા, મારી ખરી તાકાત તો તમે છો. આ હર્ષ છે. પ્રભુ તમને બેઉને સલામત રાખે.’

પત્નીને સાંભળો અને સમજો – અવંતિકા ગુણવંત

ઋજુતા સ્વભાવથી જ રોમેન્ટીક. એ કિશોરાવસ્થામાં હતી ત્યારથી સ્વપ્નાંની રંગીન સૃષ્ટિમાં વિહરતી થઈ ગઈ હતી. સવાર બપોર સાંજ એ પ્રેમનું ગીત ગણગણતી જ હોય.

કિસલય સાથે એનાં લગ્ન થયાં ને એ નાચી ઊઠી. એ વિચારે કે, હવે જ ખરી જિંદગીનો આરંભ થશે. રોજરોજ પોતે અવનવા શૃંગાર સજશે. એક વાર ધારણ કરેલાં વસ્ત્રો કે અલંકાર એ બે-ચાર મહિના સુધી તો બીજી વાર પહેરશે જ નહિ. જાતજાતની સ્ટાઈલનાં ડ્રેસ એણે લીધેલાં. દરેક ડ્રેસને અનુરૂપ જ્વેલરી. કેટલીય જાતની હેરસ્ટાઈલ શીખેલી. એ વિચારતી કે, રોજ હું સાવ નૂતન સ્વરૂપે કિસલય સામે જઈશ. એ વિસ્મયથી મને જોઈ રહેશે ને પૂછશે : ‘આ તું છે ?’ મારી પાછળ એ પાગલ થઈ ઊઠશે. એનો ઉન્માદ કદી ઠંડો નહિ પડે.

આવી કલ્પનાઓમાં રાચતી એ કિસલય પાસે જતી પણ કિસલય તો એની સામે નજરે ન માંડે. એક પ્રેમોદ્દગાર એના મોંએ ના આવે. પત્નીના નાજુદ સંવેદનો એને સ્પર્શે જ નહિ. પત્નીની ઉત્તેજનાનો પ્રતિઘોષ ના પાડે. ઋજુતા ઉન્માદભર્યા સ્વરે અધીરાઈથી પૂછે : ‘હું કેવી લાગું છું ?’ કિસલય એકદમ સ્થિર નજરે એકાદ ક્ષણ એને જોઈ રહે પછી ઠંડા અવાજે ધીમેથી કહે, ‘સારી લાગે છે. પણ માણસે બાહ્ય દેખાવ પર બહુ ધ્યાન આપવાની જરૂર નથી. માણસે સદ્દગુણો કેળવવા જોઈએ. બહારની ટાપટીપ નહીં પણ આત્માના વિકાસ માટે જાગ્રતપણે કોશિશ કરવી જોઈએ.’

પતિના કહેવા પર ધ્યાન આપ્યા વગર ઋજુતા કિસલયની નજીક સરકીને લાડથી કહેતી : ‘કિસલય, કવિઓ રંગીન વસંતના ગીતો ગાય છે, ચિત્રકારો કુદરતમાં ફોરતી વસંતના રંગે રંગાઈને નૃત્ય કરતાં યુવાન યુગલનાં મસ્તીભર્યા ચિત્રો દોરે છે, ગામડાના અબુધ જુવાનિયા અને શહેરના કોલેજિયનો વસંતોત્સવ માણે છે, રંગબેરંગી વસ્ત્રો પહેરી પાગલ બનીને તેઓ ઝૂમી ઊઠે છે. સ્થળ સમયનું ભાન તેઓ વિસરી જાય છે. મનોવૈજ્ઞાનિકો અને સમાજશાસ્ત્રીઓ આ માનસિક અવસ્થાને સ્વાભાવિક ગણે છે. જીવનમાં મનુષ્ય જ નહિ પણ પશુપંખી ય રંગરાગ અને મસ્તીની ખેવના રાખે છે. કિસલય, આનંદ જ જીવન છે. તો તું કેમ નિયંત્રિત અને સંયમી જિંદગીની વાત કરે છે ? આપણા નવજીવનનો આરંભ આવો નીરસ ? વસંતકાળે પાનખરની બોલબાલા ?’

ઋજુતા ભાવાવેશમાં આવેગથી બોલે જતી હતી, એના શબ્દો છેક ઊંડાણમાંથી આવતા હતા. કિસલય એકાદ પળ ઋજુતા સામે જોઈ રહ્યો પછી કઠોર સ્વરે ધૂત્કારતાં બોલી ઊઠ્યો : ‘મને નખરાં પસંદ નથી. માણસે આગળ વધવું હોય, કંઈક બનવું હોય તો છીછરાપણું ના ચાલે.’
‘આનંદ કરવો એ છીછરાપણું છે ? આછકલાઈ છે ? ઓ કિસલય તું શું કામ તારી જાતને એવી સંકુચિત શુષ્ક વાતોમાં જકડી રાખે છે ? જાતે ને જાતે આપણી આજુબાજુ કેદખાનાની દીવાલો ઊભી કરે છે ? લોકો મુક્તિ ઝંખે, આકાશમાં ઊડવા આતુર હોય ત્યારે તું પોથીપંડિતોની રુગ્ણ મનોદશામાંથી ઊભા થયેલા આદર્શોની ખોખલી ભૂલભૂલામણીમાં ફસાય છે ? એ જાળાં ઝાંખરામાંથી, કિસલય, તું બહાર આવ. સ્વતંત્રપણે તારા પોતાના મનથી તું વિચાર. તાર હૈયા પર હાથ મૂકીને તું કહે કે, ‘શું તારું હૈયું મોજમસ્તી નથી ઝંખતું ? કોઈ પણ પ્રકારના છોછ વગર જીવવાનું આપણા પ્રાચીન કવિઓ કહી ગયા છે અને આધુનિક કવિઓ પણ ખુલ્લા હૃદયમનથી જીવવાનો મહિમા કરે છે. મન મૂકીને જીવો તો જ જીવન કહેવાય, નહિ તો જીવન ભારરૂપ બની જાય.’ ઋજુતા નિ:સંકોચ હૈયું ખોલીને પોતાની માન્યતાઓ જણાવે છે.

પરંતુ કિસલય તો કંઈ કેટલીય ગ્રંથિઓથી જકડાયેલો હતો. એ ઋજુતાની રીતે વિચારી નથી શકતો. સ્ત્રીના માનસનો ખ્યાલ કરવાની આવશ્યકતા એ સમજતો નથી. એ ગંભીરતાથી બોલ્યો : ‘ઋજુતા, જીવન બહુ મોટી વાત છે, એની ગંભીરતા અને ગહનતાને આમ ઉપરછલ્લી રીતે ના લેવાય. રંગરાગ અને મસ્તીમાં પગ રાખીએ તો આપણે ડૂબવા માંડીએ, નષ્ટ થઈ જઈએ. આપણી શક્તિઓ વેડફાઈ જાય.’

કિસલયની વાત સાથે ઋજુતા સંમત થઈ શકતી નથી. એને થાય છે કે જીવનમાં રંગ ના હોય, મસ્તી ના હોય તો એ જીવનને કરવાનું શું ? બધું સુસ્ત સપાટ નીરસ ! એવા જીવનમાં સુખ શું ? ઋજુતા અકળાઈ ઊઠી. આવા શુષ્ક માણસ સાથે જીવન કઈ રીતે પસાર થશે ? આ તો ગુંગળાઈ જવાય. એ બોલી : ‘કિસલય, તેં લગ્ન શું કરવા કર્યા ? તું મને, મારી લાગણીઓને સમજવા પ્રયત્ન કેમ નથી કરતો ? મારો આ તલસાટ તને કેમ સ્પર્શતો નથી ! મારે હીરામાણેક મોતી કે સોનાચાંદીના અલંકારો નથી જોઈતા, મબલખ દોલત નથી જોઈતી. મને કોઈ ભૌતિક ચીજવસ્તુનો મોહ નથી. મારે તો તારો ભરપૂર પ્રેમ જોઈએ. એ પ્રેમની રંગભરી મોજ જોઈએ, ઉમળકાભર્યો સંગ જોઈએ. ભલે તું તારા મોંથી મને ‘આઈ લવ યુ’ ના કહે પણ તારી આંખોમાં તો એ ભાવ મને વંચાવો જોઈએ. તારી આંખોમાં મારા માટે પ્રેમનો મહાસાગર ઘૂઘવતો હોવો જોઈએ. કિસલય, માત્ર હું નહિ દરેકે દરેક નારી એના પતિનો પ્રેમભર્યો ઉત્કટ સંગ ઈચ્છે, એમાં કશું અજૂગતું નથી. બધું સ્વાભાવિક છે. જીવનમાં જો એ મળે તો સ્ત્રી પરમ તૃપ્તિ પામે છે. એ પછી જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ કે તકલીફો આવે સ્ત્રી એનો પ્રતિકાર કરી શકે છે. જીવનમાં એ રંગ અને રસ એના હૃદયને એવું ભરી દે છે કે પછી કોઈ ઉણપ કે અભાવ સાલતા નથી.’

પત્નીની આર્દ્રતાભરી વાણીથી ભીંજાવાના બદલે કિસલય ધૂંધવાઈને બોલ્યો : ‘તારી આવી બહેકી બહેકી વાતો મારા મગજમાં ઊતરતી નથી. હલકું સાહિત્ય અને થર્ડ કલાસ ટી.વી. સિરિયલો જોઈને તારામાં આવા નિમ્ન પ્રકારના ટેસ્ટ કેળવાયા છે. તારામાં સારા સંસ્કારોનું સિંચન થયું નથી. તારે સાદાઈ અને સંયમના પાઠ ભણવાની જરૂર છે.’

કિસલયના વિચારની જડતા છે, એ પોતાનું દ્રષ્ટિબિંદુ છોડીને પત્નીની નજરે વિચારી શકતો નથી. ઋજુતાના ઉમંગ, ઉલ્લાસ, ઝંખનાને સમજવા પ્રયત્ન કરતો નથી. ઋજુતા યૌવનનો ઉંબરો વટાવી ચૂકેલી એક નવવિવાહીતા છે. એના હૈયે શું અરમાન છે એ જાણવાની પતિ તરીકે કિસલયને કોઈ ઈંતેજારી નથી. પોતાની પત્નીમાં એને રસ નથી. પત્નીમાં રસ લેવાની પતિની ફરજ છે એવું ય એ માનતો નથી. પત્નીને એનું સ્વતંત્ર વ્યક્તિત્વ છે, અલગ સંવેદનતંત્ર છે, એને પોતાના વિચારો અને ઈચ્છાઓ છે એવું સમજવાની કિસલયમાં બુદ્ધિ નથી. દામ્પત્ય એટલે શું એ, એ સમજતો જ નથી.

પતિ-પત્ની બે અલગ હોય છે. બે મટીને એક થવું એ એક મોટો પડકાર છે. પોતાના ‘હું’ ની બહાર નીકળીને જીવનસાથીની સૂક્ષ્મમાં સૂક્ષ્મ ઈચ્છા જાણવા તત્પર રહો તો જ લય સધાય, જીવન સંવાદી બને. આજકાલ માણસના મનનો ઊંડાણથી અભ્યાસ થાય છે, ચીવટપૂર્વક એની પર ચિંતન થાય છે અને પછી એનો વિગતવાર વિસ્તૃત અહેવાલ અવારનવાર બહાર પડે છે. શું કિસલય એવું કશું વાંચતો નહિ હોય ? પ્રશ્ન થાય છે કે કિસલય કઈ સદીમાં જીવે છે ? એક માણસ તરીકેના માનવીય ભાવો એ અનુભવી શકે છે કે નહિ ! સ્ત્રીના મનની નાજુક કોમળ લાગણીઓ એને કેમ ઝકઝોરતી નથી ? પત્નીને સંતોષ આપવા એ કેમ ઉત્સુક નથી !

કિસલયમાં પુરુષ તરીકેનું જડ ગુમાન છે, ગુરુતાગ્રંથિ છે, એ જે માને છે એ સાચું છે અને પત્નીએ એને અનુસરવું જોઈએ એમ દઢપણે માને છે. છતી આંખે એ અંધ છે, છતે કાને બધિર છે, અથવા તો એનું હૈયું સંવેદનશૂન્ય છે તેથી પત્નીને એ સમજી શકતો નથી અને તેથી એને અન્યાય કરે છે. માનવતાની દષ્ટિએ આ ગુનો છે. પતિ તરીકેની ફરજ એ ચૂકે છે. દરેક ઉંમરનો પોતાનો એક તકાદો હોય છે, એક માંગ હોય છે, દરેક માણસે એ રીતે બદલાવું જોઈએ. માણસ એકલો હોય ત્યારે તેને સાદાઈ અને સંયમ ઈષ્ટ લાગતા હોય તો ભલે એ પ્રમાણે જીવે. પરંતુ લગ્ન પછી જીવનશૈલી બદલવી પડે. દામ્પત્યજીવનના પરોઢે એ જીવનસાથી તરફ ભાવથી વર્તવાના બદલે આવું એકાંગી વર્તન કરે એ યોગ્ય નથી.

પુરાણકાળના ઋષિઓ પણ એમની પત્નીઓની માંગ પૂરી કરવા તત્પર રહેતા. પત્નીને જો શૃંગાર સજવાની અભિલાષા જાગે તો રાજા પાસે ધનની યાચના કરીનેય પત્નીના કોડ પૂરા કરતા. આમાં કશું અનુચિત કે અશિષ્ટ નથી. સ્ત્રી માત્રને શૃંગાર સજીને પોતાના રૂપને સંવારવાની ઈચ્છા હોય છે જ. આ સ્વાભાવિક છે. આમાં કંઈ શરમજનક નથી. પરિણીત સ્ત્રી પુરુષ અન્યોન્યને સમજે તો જ ગૃહસંસાર દીપી નીકળે, નહિ તો જીવન વેરાન થઈ જાય. માનસશાસ્ત્રીઓ તો ઠોકી ઠોકીને કહે છે કે દામ્પત્યજીવનને હર્યુંભર્યું રાખવા પતિ-પત્નીએ એકબીજામાં પૂરેપૂરો રસ લેવો જોઈએ. તો જ જીવનમાં ઉત્સાહ વધે. અન્યોન્યની ભૂલ બતાવવી કે વિરોધ કરવો એ તો સુખની ઈમારત પર હથોડા ઠોકવા બરાબર છે. ઈમારત તૂટી ના જાય તોય ધ્રૂજી તો ઊઠે જ. ક્યારેક ઈંટો ખરવા માંડે ને ઈમારત જમીનદોસ્ત થઈ જાય. પણ કિસલય જેવાને આનો ખ્યાલ જ નથી આવતો.

જ્યારે જીવનસાથીઓ વચ્ચે વિચારોનું ઐક્ય ના સધાય ત્યારે જીવનમાંથી ઘણી બાદબાકી થઈ જાય છે. જીવનમાં અનેક રૂપરંગ સંભવી શકે છે, પોતાના ઈચ્છિત રૂપરંગ પ્રમાણે જીવન બનાવવું હોય તો બેઉએ થોડી બાંધછોડ કરવી જોઈએ. બાંધછોડ કરવામાં કોઈ નાનમ નથી, પણ ઊંડી સમજદારી છે. સ્નેહથી એ સમજદારી દાખવવાની છે, ત્યારે કોણે કેટલું છોડ્યું એની ગણત્રી ના કરવાની હોય. પોતાના પ્રિયજન માટે શું છોડ્યું એ યાદ રાખવાનું ન હોય. પ્રિયજનના સંતોષ અને આનંદને પોતાનો આનંદ અને સંતોષ સમજવા જેટલી ઉદારતા હોવી જોઈએ.

કુર્યાત સદા મંગલમ્ – અવંતિકા ગુણવંત

‘માનસ, બે ગ્લાસ પાણી લેતો આવજે.’ બહાર ઓટલા પર બેઠેલી જાહન્વીએ હાક મારીને એના વરને કહ્યું.

નવવધૂની આવી નિ:સંકોચ રીત જોઈને એનાં સાસુ ચંદ્રાબહેન તો ચમકી જ ગયાં. એ વિચારવા માંડ્યા, શિક્ષિત છોકરી આવી નિર્લજ્જ હોય ! બે દિવસ પહેલાં પરણીને આવી છે ને મારા છોકરાં પર હુકમ છોડે છે. આધુનિક કેળવણી પામેલી આવી હોય ! આ સંસ્કાર કહેવાય ! બહાર બેઠી બેઠી આટલા મોટા અવાજે પાણી મંગાવે એટલે ચારે બાજુના લોકો સાંભળે અને મારા ઘરની હાંસી ઉડાવે. તેઓ તો એવું જ સમજે કે માનસ એની વહુથી દબાઈ ગયો છે. આટલા માટે જ હું કહેતી હતી કે, ભણેલી ને નોકરી કરતી છોકરી નથી લાવવી, પણ મારું સાંભળ્યું નહિ તો હવે કરો નોકરવેડા. પાડોશીઓને નાટક જોવા મળશે ને મારા ઘરની આબરૂ જશે.

પરંતુ ચંદ્રાબહેન જાણતાં નથી કે છેલ્લાં વીસ-પચીસ વર્ષોમાં સંસાર બહુ બદલાયો છે. પરિવર્તનના વાયરાએ દરેક ક્ષેત્રને ઊંધુચત્તું કરી મૂક્યું છે. પતિ-પત્નીએ અન્યોન્ય સાથે કેમ બોલવું, કેવું વર્તન કરવું એ એમનો અંગત મામલો છે. એના વિશે બહારના કોઈએ કે ઘરના વડિલોએ વિચારવાનું કે તે અંગે ટીકા કરવાની હોય નહિ. આજના દંપતી પોતાની રીતે પોતાની જિંદગી ગોઠવવામાં માને છે. તેઓ કોઈનું સાંભળતા નથી.

પુત્રવધૂ જાહન્વી નોકરી કરે છે, એ ઑફિસથી થાકેલી આવી છે, ઓફિસની ચાર દીવાલોમાં સાત-આઠ કલાક કામ કરીને આવેલી જાહન્વીને લીમડાના થડની આજુબાજુ ગોળાકાર બનાવેલા ઓટલા પર બેસવાનું મન થયું તો ત્યાં જ બેસી પડી. ઘરમાં ગયેલો માનસ બહાર આવે ત્યારે બે ગ્લાસ પાણી લાવે એમાં કશું ખોટું નથી. આધુનિક દંપતી પુરુષ ચડિયાતો ને સ્ત્રી ઊતરતી અથવા તો અમુક કામ સ્ત્રીનાં અને અમુક કામ પુરુષનાં એવું નથી માનતાં. સમાનતાના આ યુગમાં પતિ-પત્ની બે મિત્રોની જેમ રહેવામાં માને છે.

આ યુગમાં સ્ત્રી-પુરુષ દરેક દરેક ક્ષેત્રમાં ખભેખભો મિલાવીને કામ કરે છે. પુરુષની જેમ સ્ત્રીને સમયસર ઓફિસ પહોંચવાનું હોય છે. એ પહેલાં એણે રસોઈ કરવાની હોય છે, ઘરનાં બીજાં કામો પતાવવાનાં હોય છે, તો એ આશા રાખે જ કે પતિ પણ એની સાથે વહેલો ઊઠીને એના કામમાં મદદ કરાવે. એ દાળ ચોખા ધોઈ આપે કે શાક સમારી આપે એમાં નાલેશી નથી પણ સમજદારી છે. પત્ની રોટલી વણે ને પતિ કૂકર ચડાવે એ એક સુભગ દશ્ય છે. બહારના ક્ષેત્રે કે ઘરમાં રહીને ઉદ્યમ કરતી સ્ત્રી એના પતિ પાસેથી મદદની અપેક્ષા રાખે એ સ્વાભાવિક છે. પતિ મદદ કરે તો પત્નીને રઘવાયા ના થવું પડે, વળી સાથે કામ કરવામાં હૂંફ અને આત્મીયતા અનુભવાય. આમ જ અદ્વૈત સધાય. દામ્પત્યની મીઠાશ જળવાય.

જૂની પેઢીએ આ નવો અભિગમ સમજવો જોઈએ ને સ્વીકારવો જોઈએ. પરંતુ ચંદ્રાબહેન જેવાં વડીલો આવું વિચારવા જેટલાં ઉદાર નથી બની શકતા. ચંદ્રાબહેન દીકરા-વહુનું સાયુજ્ય જોઈને હરખાવાના બદલે પાણીના ગ્લાસ લઈને આવેલા માનસ સામે કટાણું મોં કરીને જોવા માંડ્યા. એ આંખો અને ચહેરાના હાવભાવ દ્વારા એવું સૂચવવા માંગતા હતાં કે વહુમાં શાલીનતા કે વિનય નથી. એ છીછરી અને ઉછાંછળી છે. પણ માનસ માની વિચારસરણીમાં તણાય એવો ન હતો. એ તટસ્થ રીતે વિચારનારો પરિપક્વ બુદ્ધિનો હતો. એણે એની મમ્મીના મનોભાવને પ્રોત્સાહન ના આપ્યું, તેથી ચંદ્રાબહેન નારાજ થઈ ગયાં. એમણે મોં મચકોડ્યું. એમની આંખોમાં રોષ દેખાયો. માનસને થયું, આ વાત અહીં ડામવી જ પડશે. મમ્મી જો કંઈ બોલશે તો સાસુ-વહુમાં ચડભડ થવા માંડશે, અને પછી તો આમનેસામને જ રહેશે. ઘરની શાંતિ ખોરવાઈ જશે.

તેથી એ હસીને બોલ્યો : ‘મમ્મી, આ જમાનામાં સ્ત્રી-પુરુષની સમાનતાનો સ્વીકાર થયો છે. આજનો પુરુષ સ્ત્રીને ઘરકામમાં મદદ કરે છે. પરંતુ મમ્મી, આપણા ઘેર તો વરસો પહેલાં આ વાતનો સ્વીકાર થયો હતો. રોજ સવારે પપ્પા જ ચા-દૂધ કરતા હતા ને ! તું દાળ-ચોખા ધૂએ ને પપ્પા શાક સમારી આપતા. તું જોબ કરતી ન હતી કે તારે ક્યાંય બહાર જવાનું ન હતું તેથી તું પપ્પાને કામમાં મદદ કરવાની ના પાડતી હોય તોય પપ્પા તને મદદ કરતાં. એ મેલાં કપડાં સાબુમાં બાફી આપતા, ઘર ઝાપટી નાખતા, દીવાનખાનું વ્યવસ્થિત ગોઠવી દેતા. પપ્પા કેવી સરસ રીતે બધું કરતા. એ કદી ઘાંટાઘાંટ ન કરતા, કે પોતે કામ કરે છે એવો દેખાડો નહોતા કરતા. તેઓ ઘરકામ કરતાં શરમાતા નહિ કે લોકો શું કહેશે એનો ડર રાખતા નહિ.

માનસે ચંદ્રાબહેનને એમના સંસારની વાતો એટલી સાહજિકતાથી યાદ કરાવી દીધી કે દીકરો એની વહુને કામ કરાવે છે કે પાણી લાવી આપે છે એની ટીકા જ ના કરી શકે. ચંદ્રાબહેનને એમના દીકરાએ જૂના દિવસો યાદ કરાવ્યા એટલે અચાનક એમનું હૈયું ય એ મધુર દિવસોની યાદમાં ગરકાવ થઈ ગયું. એ બોલી ઊઠ્યાં : ‘દીકરા, આપણા ઘરમાં તો પુરુષો કાયમ ઘરકામોમાં મદદ કરાવતા જ આવ્યા છે. તારા દાદા યે ઘરકામને નાનમ ના સમજતા. હું પરણીને આવી ત્યારે ઘરમાં મારાં સાસુ હયાત ન હતા. દિયર, નણંદ પણ હતાં નહિ. ઘરમાં હતા મારા સસરા. એ નિવૃત્ત શિક્ષક, સ્વાવલંબનમાં માને. એમને કોઈ કામની શરમ નહિ કે આળસે નહિ. હું રસોઈ કરતી હોઉં ત્યારે બાથરૂમમાં બેસીને એ બધાનાં કપડાં ધોઈ નાખતા. હું શરમાઈને એમને વારવા જાઉં તો એ સ્નેહથી કહે બેટા, આપણે નોકર રાખતા નથી તો ઘરનાં કામ વહેંચીને કરવા પડે. આપણું કામ આપણે નહિ કરીએ તો કોણ કરશે ? તમારે બહારના કોઈ શું માનશે એવો વિચારે નહિ કરવાનો.’ ચંદ્રાબહેનની વાત સાંભળીને માનસને નિરાંત થઈ કે મમ્મી હવે કોણ કયું કામ કરે છે એની માથાકૂટ નહીં કરે. મમ્મીને એણે યાદ દેવડાવ્યું કે, એના ઘરમાં પુરુષો સ્ત્રીઓને મદદ કરતાં અચકાતા નથી. માનસે પાણી પહેલાં પાણ બાંધી લીધી. તેથી કોઈ વિખવાદ ઊભો થવા પામ્યો નહિ. ચંદ્રાબહેને પુત્રવધૂની કોઈ ટીકા કરી નહિ.

ઘણીવાર દામ્પત્યજીવનમાં અચાનક અણધાર્યા પ્રશ્નો ઊભા થાય છે. કારણ વિના કલહ થઈ જાય છે. બિનજરૂરી બોલવામાં કે હાવભાવથી મન દુભાય છે. અને જ્યારે દામ્પત્યજીવનનો આરંભ જ થતો હોય, પતિ-પત્નીએ એકમેકને ઓળખવાનાં બાકી હોય ત્યારે તો ખૂબ ખ્યાલ રાખવો પડે. જે યુવતી એનાં મા-બાપ અને ચિરપરિચિત વાતાવરણ છોડીને આવી હોય એ આ નવા અપરિચિત ઘરમાં અજાણ્યા માણસો વચ્ચે મૂંઝાતી હોય, ત્યારે તેને કાળજીભરી પ્રેમાળ હૂંફ ઘરના દરેક સભ્યે આપવી જોઈએ. એની લાગણી ના ઘવાય તેનું ધ્યાન રાખવું જોઈએ. આ નવું ઘર એને પોતાનું લાગે એવા સભાન પ્રયત્ન કરવા જોઈએ.

આજની ગતિશીલ દુનિયામાં તાલ મિલાવવા સ્ત્રીએ કારકિર્દીને મહત્વ તો આપવું જ રહ્યું આ વાત એના પતિએ સ્વીકારી લેવી ઘટે અને પત્ની થાકે નહિ માટે એને એના કામમાં સહયોગ આપવો જોઈએ. નવપરિણીતા નવા પરિવારનાં સભ્યો પ્રત્યે ફરજ બજાવે. સાથે સાથે એ કુટુંબના રીત-રીવાજો નિભાવે, એક સુપર પુત્રવધૂ અને સુપર પત્નીની ભૂમિકા ભજવતાં એ એટલી થાકી જાય છે કે એની નોકરીમાં તે એક સામાન્ય કર્મચારી બનીને રહી જાય છે. એની કારકિર્દી ખોરંભે ચડે છે તેથી તે નિરાશ થઈ જાય છે. આજની સ્ત્રી કુંવારી હતી ત્યાં સુધી પોતાની કેરિયર પ્રત્યે ખૂબ ગંભીર હતી, પોતાનો સમય અને શક્તિ એ પોતાની કેરિયર બનાવવા પાછળ ગાળતી હતી પણ હવે જો એણે ઘરકામ અને રસોઈને જ પ્રાધાન્ય આપવાનું હોય અને પતિ એને સહાય ન કરે તો એનું મન વિષાદથી ભરાઈ જાય. પતિ અને પરિવારજનો માટે અણગમો આવી જાય. ભારતીય સ્ત્રીઓમાં સુખ-દુ:ખ એના પતિ અને વડીલો પર આધારિત હોય છે. એ પોતાની ફરજ એક નિષ્ઠાથી બજાવી શકે. એનાં ઉત્સાહ અને જોમ જળવાઈ રહે એ માટે પતિએ આપણા જૂના સંસ્કાર કે ‘ઘરકામ તો પુરુષ કરે જ નહિ’ એ સંસ્કાર છોડવા પડશે.

જે રીતે સ્ત્રી બહારની દુનિયામાં પુરુષ સાથે ખભેખભો મિલાવીને કામ કરે છે એ રીતે જ પુરુષે ઘરના કામમાં શરમાયા વગર સ્ત્રીને મદદ કરવી જોઈએ. એમાં ગૌરવ લેવું જોઈએ. ઘરનાં કામ એ માત્ર પત્નીનાં કામ છે એ રૂઢ માન્યતામાંથી બહાર આવવું જોઈએ અને જીવન નવી પ્રણાલિકા પ્રમાણે ગોઠવવું જોઈએ. જીવનશૈલી એવી હોવી જોઈએ કે જેમાં પતિ-પત્ની બેઉનો વિકાસ હોય, અને ઘરમાં પ્રસન્નતા હોય. ઘરનાં વડીલોએ આ નવી જીવનશૈલી અને ગૃહવ્યવસ્થામાં પ્રેમથી સહકાર આપવો જોઈએ. ઘરની આબાદી માટે દરેક સભ્યે યોગદાન આપવું જોઈએ. તો જ સુખી સંસાર રચાય. આત્મીયતા બંધાય. જીવન ભર્યું ભર્યું લાગે.

સ્નેહ સાધના – અવંતિકા ગુણવંત

‘આ શું ? આવી વહુ ? ના, ના, ના. આવી વહુ ના ચાલે. હરગિજે ના ચાલે.’ ત્વરાને જોઈને સરુબહેનનું મન ચિત્કાર કરી ઊઠ્યું.

સરુબહેન પોતે અત્યંત સ્વરૂપવાન હતાં. પંચાવન વર્ષની ઉંમરે પણ સો સ્ત્રીઓમાં અલગ તરી આવે તેવું એમનું વ્યક્તિત્વ હતું. એમનું ઊઠવું, બેસવું, પહેરવું, ઓઢવું, બોલવું બધું નોખું, એમાં સૂઝ હતી, સમજ હતી, કલા હતી. કોઈનાં અવસાન નિમિત્તે સાવ સફેદ લૂગડાં પહેરી બેસણામાં જાય ત્યાંય એમનું રૂપ જાણે છલકાઈ જતું લાગે. કંઈક ભારે, ઘૂંટાયેલો એમનો અવાજ બોલે એટલે બધાં ચૂપ થઈ જાય. એમનું બોલવું એવું ડાહ્યું ને શાણું કે સામી વ્યક્તિ અંજાઈ જાય, મનોમન પોતાને ઊતરતી ગણે. પોતાની આ વિશેષતાઓનું એમને પૂરું ભાન હતું.

સરુબહેનનો દીકરો પ્રિયાંક પણ એમના જેવું જ પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતો હતો. તે ગણિતશાસ્ત્રમાં પી.એચ.ડી. હતો. યુનિવર્સિટી તરફથી પરદેશ ગયો હતો. ત્યાંથી એ ત્વરાને પરણીને આવ્યો. ત્વરા દૂબળીપાતળી ને ભીનેવાન હતી. ઘાટઘોટ વગરનું એનું મોં હતું. પહેરવા-ઓઢવામાંય કોઈ વિશેષતા નહિ. સાવ સામાન્ય દેખાવની ત્વરાને જોઈને સરુબહેન અવાક્ થઈ ગયાં. એમનાં હોંશ, ઉત્સાહ, અહમને જબરદસ્ત ધક્કો લાગ્યો : ‘દીકરા, તેં આ શું કર્યું ? તેં તો મારા વેરીનું કામ કર્યું. લોકોના કાળા કલૂટા છોકરાય રૂપાળી રંભા જેવી વહુ લાવે છે. પોતે કેવી સુંદર વહુની કલ્પના કરી હતી. ને આ ? બારણે ઊભી શોભેય નહિ. આને તો મારા ઘેર કામવાળી તરીકેય ન રાખું.’

સરુબહેનનું હૈયું વલોપાત કરી ઊઠ્યું. એમણે વહુને ના આવકાર આપ્યો કે ના આશિષ આપી. ના હૈયા સરસી ચાંપી કે ના માથે હાથ મૂક્યો. ના દાગીનો આપ્યો, ના સાડી આપી. દીકરાના લગ્નની કે વહુના આગમનની ના ઉજવણી કરી. એમના હૃદયનાં દ્વાર વહુ માટે ભિડાઈ ગયાં, પણ ઘરનાં દ્વાર બંધ ના કરી શક્યાં. પ્રિયાંક એને પરણીને આવ્યો છે. તે આ ઘરની વહુ છે. એનો આ ઘરમાં હક છે, હિસ્સો છે.

પ્રિયાંક એની માને કહે છે, ‘ત્વરા મારી સાથે કામ કરતી હતી, મને એની સાથે બહુ ફાવતું’તું. એ મારા જેટલું જ ભણી છે.’ સરુબહેન કંઈ બોલતાં નથી. મોં મચકોડે છે. પોતાની નારાજગી વ્યક્ત કરીને ત્યાંથી જતાં રહે છે. સરુબહેન ત્વરા સાથે જરાય વાતચીત નથી કરતાં. ત્વરા સાસુના મનોભાવ સમજી શકે છે. પ્રિયાંકે જ્યારે એની આગળ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો ત્યારે ત્વરાએ આનાકાની કરતાં કહ્યું હતું : ‘તમે આટલા બધા રૂપાળા…. મારી તો તમારી બાજુમાં ઊભા રહેવાની હિંમત નથી ચાલતી…’
ત્યારે પ્રિયાંકે સ્નેહથી કહ્યું હતું : ‘સાચું રૂપ તો અંતરનું છે, એમાં તું ક્યાં ઊતરતી છે ?’ …. ને બેઉ જણ ત્યાં પરદેશમાં પરણી ગયાં હતાં.

અહીં આવીને ત્વરા સાસુનું અપ્રતિમ રૂપ જોઈ જ રહી. તેણે પ્રિયાંકને કહ્યું : ‘મમ્મીની સામે ઊભા રહેવાનુંય મારાથી સાહસ નથી થતું.’
પ્રિયાંક હસીને કહેતો : ‘હા, આ એક મુશ્કેલી છે. પણ મુશ્કેલી છે તો મજા છે. ગણિતના કૂટ પ્રશ્નની જેમ આને ઉકેલવામાં એક પડકાર છે.’
હા, પતિની વાત સાચી છે. ત્વરાએ મનોમન સાસુનો સ્નેહ પામવાની પ્રતિજ્ઞા લીધી. ત્વરાએ જોયું કે સાસુ માત્ર રૂપમાં જ નહિ પણ હોશિયારીમાંય ભલભલાને પાછા પાડી દે એવાં છે. રસોઈ કેટલી સ્વાદિષ્ટ ને વિવિધ બનાવે છે ! ભરતગૂંથણ, શીવણ જાણે. રંગોળી પૂરે ને મહેંદી મૂકે. ઘર નવી નવી રીતે સજાવે.

આજ સુધી ત્વરાએ ઘરકામમાં રસ લીધો ન હતો. એના જન્મ વખતના ગ્રહો જોઈને એના દાદાએ એનું નામ પંડિતા પાડ્યું હતું. એ જીવ્યા ત્યાં સુધી ‘પંડિતા’ કહીને જ ત્વરાને પોકારતા. ત્વરા ખૂબ ગંભીરતાથી વિદ્યાભ્યાસમાં મશગૂલ રહેતી. ઘરનું કામ એને બુદ્ધિ વગરનું લાગતું. સ્ત્રીસહજ શૃંગાર, ટાપટીપને એ મૂર્ખતા માનતી. પરંતુ સરુબહેનને જોયાં ને એ વિસ્મય પામી ગઈ. ઘરના તુચ્છ સામાન્ય દેખાતા કામમાંય આટલી બુદ્ધિ, આવડત, કલાને અવકાશ છે !

સવારે ત્વરાએ દૂધ ગરમ થવા મૂક્યું. એ બધાં કામ છોડી દઈ દૂધ પાસે જ ઊભી રહી. આ જોયું ને સરુબહેન બોલ્યાં : ‘બે લિટર દૂધને બરાબર દસ મિનિટે ઊભરો આવે છે. વચ્ચે વચ્ચે દૂધ હલાવતી જા ને બીજું કામ કરતી જા.’ બરાબર દસ મિનિટે દૂધનો ઊભરો આવ્યો. ત્વરા પ્રશંસાથી સાસુ સામે જોઈ રહી. સરુબહેન ખુશ થવાને બદલે બોલ્યાં, ‘તું તો મોટી ગણિતશાસ્ત્રી છે. ગણતરી તારા લોહીમાં હોવી જોઈએ. ગણિત તો જીવનનો પાયો છે, તું કેમ ગણિતમય નથી થઈ જતી ? જરા મગજ ચલાવ. એકએક શાસ્ત્રમાં ગણતરી હોય છે. અરે, ધાર્મિક ક્રિયામાંય ગણતરી હોય છે. ત્રણ ખમાસણ લો. એકસો આઠ નવકાર જાપ કરો. અમુક મંત્રનો સત્તાવીસ વખત જાપ કરો. આ ગણતરી પાછળ ચોક્કસ હેતુ હોય છે. આટલી સીધી સમજ તારામાં કેમ નથી !’ સરુબહેને મોટું ભાષણ ઠોકી દીધું.

તક મળ્યે એ કરવતની જેમ એમની જીભ ચલાવ્યે જ રાખતાં હતાં. પળે પળે એ ત્વરાને એ હીણી છે, ઊતરતી છે એવું બતાવવા માગતાં હતાં. એનું નૈતિકબળ તૂટી જાય એમ એ એની પર વાગ્હુમલા જ કરતાં. પરંતુ ત્વરા કેળવાયેલી હતી. એ જોતી કે સાસુ કહે છે તે રીત કડવી છે, પણ વાત સત્ય છે. સાસુએ જ્યાં જ્યાં ગણિત જોયું ત્યાં મને કેમ ના દેખાયું ? આંકડામાં જ રમનારી હું આંકડા વિશે સાસુની જેમ કેમ ના વિચારી શકી ? સાસુએ ઘરનું દરેક કામ કેટલી મિનિટમાં થાય તે શોધ્યું હતું. પાણીની માટલી બરાબર પાંચ મિનિટે ભરાય છે, ત્યારે જ એ નળ બંધ કરવા જતાં. ચાર કપ ચા થતાં સાત મિનિટ લાગે છે. બ્રશ કરવા જતાં એ ચા મૂકી દેતાં, પાંચ મિનિટે બ્રશ કરીને આવતાં ને ચા જોતાં. સાસુનું દરેક કામ ગણતરી મુજબ થતું. એમનું આયોજન એવું હતું કે ઘણાં બધાં કામ થોડા જ સમયમાં પતી જતાં. ત્વરા નવાઈ પામીને પ્રિયાંકને કહેતી : ‘તક મળી હોત તો મમ્મી મોટાં ગણિતશાસ્ત્રી થાત.’

પ્રિયાંક કહેતો : ‘મમ્મી પાસે પી.એચ.ડી.ની ડિગ્રી નથી, પણ એ મારી ગુરૂ છે. હું નાનો હતો ત્યારે મારી સાથે એય ગણિતના કોયડા ઉકેલવા બેસતી. અરે, વૈદિક ગણિત વિશે સાંભળ્યું તો એને વિશે કેટલુંય વાંચ્યું ને યાદ પણ બરાબર રાખે. મને બધું વિગતે સમજાવે. હું કૉલેજમાં આવ્યો. અમે ભાઈબંધો કોઈ ચર્ચા કરીએ તો એ ધ્યાનથી સાંભળે, સમજવા પ્રયત્ન કરે ને ના સમજાય એ પાછળથી મને પૂછે. આ બધું જાણીને એમને દેખીતો કોઈ લાભ થવાનો ન હતો, પણ કેટલી જિજ્ઞાસા ! જ્ઞાનની કેવી ભૂખ !’

ત્વરાને સાસુ માટે માન થાય છે. એ વિચારે છે : સાસુનો સ્વભાવ થોડો આકરો છે, પણ જૂના સમયના ઋષિમુનિઓ અને જ્ઞાનીના સ્વભાવ પણ ઉગ્ર જ હતા. છતાંય એમના જ્ઞાનના લીધે એ પૂજાય છે. ત્વરાએ પોતાનાં સાસુને પોતાનાં ગુરૂ માન્યાં. એ જે કહે તે ધ્યાનથી સાંભળે છે, યાદ રાખે છે. એક વાર સાંભળ્યા પછી તે ભૂલ કરતી નથી. સરુબહેનની નજર એટલી કેળવાયેલી કે વસ્તુ જુએ ને એનું માપ કહી આપે, તોલ કહી આપે. ત્રાજવેથી તોલો તોય ભૂલ ના નીકળે. અરે, મૂઠી ને ચપટીનુંય એવું જ માપ કાઢેલું.

બ્લડપ્રેશરને હિસાબે મીઠું ઓછું ખાવાનું હતું. એ ચપટીમાં મીઠું લે ને કેટલા રતીભાર મીઠું છે તે ખાતરીપૂર્વક કહેતાં. સાસુનું જોઈને ત્વરા ચપટી ભરીને મીઠું ભાણામાં મૂકતી. મીઠું જરા વધારે જુએ તો સુરુબહેન એને ઝાટકી નાખતાં. એક કણમાં કેટલી તાકાત છે એ તું નથી જાણતી ?’ પછી તો ન્યુટ્રોન ને પ્રોટ્રોન વિશે વાત કરતાં. એમની વાતમાં ભૌતિકશાસ્ત્ર આવે, રસાયણશાસ્ત્ર ને ખગોળશાસ્ત્ર આવે. કોઈ વાર શરીર વિશે તો કોઈ વાર સંગીત વિશે વાત કરે. બપોરે આરામ કરવાને બદલે કંઈક અભ્યાસપૂર્ણ વાંચતાં જ હોય. વાંચે ને બધું જ યાદ રહે. વિગતવાર કહી શકે, સમજાવી શકે, ત્વરાને થાય : ઓહ, આ સાસુ તો જીવતાંજાગતાં એન્સાઈકલોપિડિયા છે. સાસુ માટે એને માન સાથે મમત્વ જાગ્યું. સાસુ ન એના તરફના વર્તનને એ બરાબર સમજી શકી. એ વિચારે છે, સાસુએ એમની બુદ્ધિ અને નજરનો કેટલો વિકાસ સાધ્યો છે ! પ્રિયાંક કહે, ‘મમ્મી કારભારીની દીકરી છે તેથી જ એનામાં આટલી ચોકસાઈ અને પરખશક્તિ છે.’ સોનાનો દાગીનો હાથમાં લે ને એનું વજન કહી શકે. હીરાને એક ઝવેરીની જેમ પારખી શકે છે. કોઈ પણ વસ્તુની ખરીદીમાં એ ક્યારેય છેતરાયાં નથી. ઘરની વહુ વિશે તો એમણે કેવાંય સ્વપ્નાં સેવ્યાં હશે, એને બદલે એમનો દીકરો રૂપેરંગે સામાન્ય ને અણઘડ વહુ લઈ આવ્યો એટલે આઘાત પામે જ ને !

આ સંતાપ જ એમને સતત ગુસ્સામાં રાખતો હતો. કોઈ મહેમાન આવે ત્યારે સરુબહેન વહુની ઉલટથી ઓળખાણ કરાવતાં નથી. કોઈ સામેથી પૂછે તોય સરુબહેન અકળાઈ ઊઠતાં. કાયમ હસી હસીને મહેમાનને આવકારનાર સરુબહેન મહેમાન પર જ રોષે ભરાતાં. એમને થતું : આ લોકો મારી હાંસી કરે છે. મહેમાન જાય પછી એ ત્વરાને અને પ્રિયાંકને કેટલુંય સંભળાવતા. જિંદગીની બાજી હારી બેઠાં હોય એમ સરુબહેન બહાવરાં-બેબાકળાં બની ગયા હતાં. એ વિવેક ભૂલીને ત્વરાને બોલતાં. બોલે નહિ ત્યારેય આંખથી ડારતાં. પોતાના આચરણથી એને સૂચવતા કે, ‘તું ભાગી જા. અહીંથી ભાગી જા.’ પ્રિયાંક પણ ત્વરાને અલગ રહેવા વિશે પૂછતો.

પણ ત્વરા કહેતી, ‘જુદા રહેવાની વાત કરશો જ નહિ. જુદા રહેવાથી આ પ્રશ્ન હલ નહિ થાય. હું મમ્મીને શાંતિ આપવા ઈચ્છું છું, સંતોષ આપવા ઈચ્છું છું. મને એ ગમે છે, અહીં રહેવું મને ગમે છે.’ ત્વરામાં દઢ મનોબળ હતું. સરુબહેન ઉગ્રતાથી ગમે તે બોલે પણ એ કદીય સંયમ ખોતી નહિ. જાણે સાંભળ્યું જ ના હોય એમ ચૂપ રહેતી, સ્વસ્થ રહેતી. આજુબાજુના લોક કહેતા : ત્વરા સાસુના ત્રાસથી દબાઈ ગઈ છે, પણ ત્વરા તો એની સાધનામાં જ મસ્ત હતી.

સવારની કૉલેજમાં પ્રોફેસર તરીકે એ કામ કરતી હતી. પરંતુ ઘેર આવ્યા પછી તો ઘરનાં કામમાં જ ડૂબી જતી. જરાય પ્રમાદ નહિ, આળસ નહિ, અવિનય નહિ. સરુબહેનને આવી વિનીત શિષ્યા ક્યાંથી મળે ? સરુબહેન જેવી આવડત ત્વરામાં આવવા માંડી. સરુબહેનના હૃદયના ઊંડાણમાં આ નમ્ર, વિવેકી, પ્રેમાળ વહુ માટે પ્રેમ ઊભરાવા માંડ્યો. મજબૂતપણે ભિડાયેલાં એમનાં હૃદયનાં દ્વાર ખૂલી ગયાં.

ત્વરા એમના હૃદયમાં સ્થાન પામી. હવે એ ત્વરામય બની ગયાં. ત્વરા વગર એક ક્ષણ ચેન પડતું નથી. ત્વરા કૉલેજથી ઘેર આવે ત્યારે એની રાહ જોતાં સરુબહેન ઘરને બારણે નહિ પણ કમ્પાઉન્ડને દરવાજે ઊભાં હોય છે. હસીને આવકારે છે. માથે ને મોંએ હાથ ફેરવીને વહાલ કરે છે. ઝટપટ જમવાની થાળી પીરસે છે. પોતાના હાથથી કોળિયો ભરી ત્વરાના મોંમાં મૂકે છે. ત્વરા સાસુને ખવડાવે છે. બેઉનાં અંતર હરખાય છે.